Wednesday, March 29, 2006

Hriday Gita (19), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

વિભૂતિયોગ

નામ

એકોનવિંશ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

આદિ મધ્ય તથા અંત હું છું.
મારાથી સઘળું ઉત્પન્ન થયું,
મેં સર્વ જગતો ઉત્પન્ન કર્યાં ;
જે કાંઈ થયું છે તે મારા વિના ઉત્પન્ન થયું નથી.

૧.

હું સર્વ સૃષ્ટિનું આદિકરણ છું ;
મારાથી, મારા વડે તથા મારે અર્થે સર્વસ્વ છે.

૨.

ભક્તે કહ્યું :

ઓ પ્રભુ, આકાશો તમારા હાથની કૃતિ છે
આરંભમાં તમે પૃથ્વીનો પાયો નાખ્યો.

૩.

વસ્ત્રની પેઠે તેઓને બદલવામાં આવશે
પરંતુ તમે એવા ને એવા જ છો.
તમારા વરસોનો અંત કદી આવશે નહિ.

૪.

પ્રભુએ કહ્યું :

હું સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છું ;
પોતાના પરાક્રમના શબ્દથી હું સઘળાને નિભાવી રાખું છું ;
જીવન તથા શ્વાસોચ્છવાસ હું સર્વને આપું છું.

૫.

હું સત્ય તથા જીવન છું,
કોઈનાથી હું વેગળો નથી,
કેમકે મારામાં સર્વ જીવે છે,
હલનચલન કરે છે અને અસ્તિત્વ ધરાવે છે.

૬.

શ્રદ્ધાવાને કહ્યું :

પ્રભુ, તમારાથી સર્વ છે અને અમે તમારે અર્થે છીએ.
તમારે આશરે સર્વ છે, અને અમે તમારે આશરે છીએ.

૭.

પોતાની ઇચ્છાના સંકલ્પ પ્રમાણે તમે સર્વ કરો છો.
તમારા સંકલ્પને કોણ અટકાવે છે ?

૮.

જે સર્વથી સર્વને ભરે છે તે તમે છો.
તમે ‘ ઈમાનૂએલ ’ એટલે અમારી સાથે રહેનાર ઈશ્વર છો.

૯.

પ્રભુએ કહ્યું :

મારી દષ્ટિથી કોઈ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી.
હું હૃદયના વિચારને તથા ભાવનાઓને પારખનાર છું.
મન તથા અંત:કરણને પારખનાર હું છું.

૧૦.

જે હતો, જે છે અને જે આવનાર છે.
હું ગઈ કાલે, આજે તથા સદાકાળ એવો તે એવો છું.

૧૧.

હું આદ્યાક્ષર તથા અંત્યાક્ષર છું.
હું પહેલો તથા છેલ્લો, આદિ તથા અંત છું.

૧૨.

મારામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહેલી છે,
મારામાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે.

૧૩.

જ્ઞાન, પુણ્ય, પવિત્રતા અને ઉદ્ધાર હું છું.
જે પવિત્ર છે, જે સત્ય છે, જે તથાસ્તુ છે, જે વિશ્વસનીય છે,
તે હું છું.

૧૪.

શ્રદ્ધાવાન બોલ્યા :

હે પ્રભુ, તમારા અદશ્ય ગુણો, સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ
સર્જેલી વસ્તુના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે.

૧૫.

પ્રભુ બોલ્યા :

જે આકાશમાં છે તથા જે પૃથ્વીમાં છે,
જે દશ્ય તથા અદશ્ય છે,
રાજ્યાસનો કે રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ,
સર્વ મારી મારફતે તથા મારે સારુ ઉત્પન્ન થયાં.

૧૬.

હું સર્વ કરતાં આદિ છે.
મારાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે.

૧૭.

એક ભક્તે ઉચ્ચ સ્વરે કહ્યું :

દેવદૂતો સર્વ તમારું ભજન કરે છે.
તમે પોતાના દૂતોને વાયુરૂપ અને
પોતાના સેવકોને અગ્નિજ્વાળારૂપ કરો છો.

૧૮.

પ્રભુએ કહ્યું :

સ્વર્ગ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મારો છે.

૧૯.

મૃત્યુ તથા અધોલોકની કૂંચીઓ મારી પાસે છે.
હું ઉઘાડું છું અને કોઈ બંધ કરશે નહિ ;
હું બંધ કરું છું અને કોઈ ઉઘાડતો નથી.

૨૦.

હું રાજ્યનું તથા અધિકારનું શિર છું.
મારા સામર્થ્યથી હું સર્વને મારે આધીન કરી શકું છું.

૨૧.

ત્યારે એક શ્રદ્ધાવાને કહ્યું :

તમે સર્વમાં શ્રેષ્ઠ છો.

૨૨.

હે ઈશ્વર, તમારું રાજ્ય સનાતન છે
અને તમારો રાજદંડ ન્યાયીપણાનો રાજદંડ છે.

૨૩.

તમે ધન્ય તથા એકલા સ્વામી,
રાજાઓના રાજા અને સ્વામીઓના સ્વામી છો.

૨૪.

જે સર્વકાળ રાજ્ય કરનાર છો,
અને જેના રાજ્યનો અંત આવશે નહિ.

૨૫.

રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારાં જ છે.

૨૬.

આકાશમાંના, ભૂમિ ઉપરનાં તથા ભૂમિ તળેનાં સર્વ
તમારે નામે સાષ્ટાંગે પડીને નમન કરશે,
અને દરેક જીભ કબૂલ કરશે કે તમે જ સ્વામી છો.

૨૭.

પ્રભુ બોલ્યા :

હું અગમનીય પ્રકાશમાં રહું છું,
હું સ્વયં પ્રકાશ અને પ્રકાશોનો જનક છું,

૨૮.

જેણે અંધકારમાંથી તેજને પ્રકાશવા ફરમાવ્યું અને
માનવીઓના હૃદયમાં પ્રકાશ પાડયો છે.

૨૯.

માર્ગ, સત્ય તથા જીવન હું છું.
શાશ્વત જીવન હું છું, મારા એકલાને અમરપણું છે.
મેં જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે.

૩૦.

જે જીવનની રોટલી સ્વર્ગથી ઊતરી છે તે હું છું ;
જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે.

૩૧.

જે જલ હું આપીશ તે જે પીએ
તેને કદી તૃષા નહિ લાગશે.

૩૨.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
વિભૂતિયોગ નામનો એકોનવિંશ અધ્યાય સમાપ્ત.


(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (18), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

પૂર્ણયોગ

નામ

અષ્ટાદશ અધ્યાય


શિષ્યે કહ્યું :

પ્રભુ ઈસુમાં સર્વ સંપૂર્ણતા રહેલી છે.
આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ.

૧.

આપણે પ્રૌઢ પુરુષત્વને એટલે
ખ્રિસ્ત પ્રભુની સંપૂર્ણતાને પગથિયે પહોંચીએ.

૨.

પ્રભુ પોતાના આત્મા વડે અમને આંતરિક પુરુષત્વમાં
સામર્થ્યથી બળવાન કરો,
કે અમે પ્રભુની સર્વ સંપૂર્ણતા પ્રમાંણે સંપૂર્ણ થઈએ.

૩.

પ્રભુ અમને દરેક સારાં કામમાં એવા સંપૂર્ણ કરો કે
અમે તેમની ઇચ્છા પ્રમાણે સઘળું કરીએ, અને
તેમની દષ્ટિમાં જે સંતોષકારક છે તે કરીએ.

૪.

પ્રભુ પોતાના સામર્થ્યથી પરોપકાર કરવાની આપણી ઇચ્છાને
તથા આપણાં શ્રદ્ધાનાં કરમને સંપૂર્ણ કરો.

૫.

હજી સુધી હું બધું સંપાદન કરી ચૂકયો
કે સંપૂર્ણ થયો છું એમ નહિ,

૬.

પણ પછવાડે તેને વિસરીને
અને જે આગળ તેની તરફ ધાઈને
સ્વર્ગીય આમંત્રણના ઇનામને સારુ
નિશાનની ભણી આગળ ધસું છું.

૭.

પ્રભુએ આપણને જીવન તથા ભક્તિભાવને લગતાં
સઘળાં વાનાં આપ્યાં છે,

૮.

એ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને
પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર,

૯.

ચારિત્રની સાથે જ્ઞાન અને જ્ઞાનની સાથે સંયમ,

૧૦.

સંયમની સાથે ધીરજ અને ધીરજની સાથે ભક્તિભાવ,

૧૧.

ભક્તિભાવની સાથે બંધુભાવ અને
બંધુભાવની સાથે પ્રેમ જોડી દઈએ.

૧૨.

જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર,
જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ,
જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે ;

૧૩.

જો કોઈ સદગુણ અને જો કોઈ પ્રશંસા હોય,
તો આ બાબતોનો વિચાર કરીએ.

૧૪.

પ્રભુના પસંદ કરેલાને ઘટે તેમ
હૃદયની કોમળતા, મમતા, નમ્રતા,
વિનય તથા સહનશીલતા ધારણ કરીએ.

૧૫.

પ્રભુએ દરેક આધ્યાત્મિક આશીર્વાદથી
આપણને આશીર્વાદિત કર્યા છે.

૧૬.

ઉપરની વાતો શોધીએ.
ઉપરની વાતો પર ચિત્ત લગાડીએ.

૧૭.

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર
પ્રભુની ઇચ્છા પૂરી થઓ.

૧૮.

મારી ઇચ્છા પ્રમાણે નહિ પણ
પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ.

૧૯.

પ્રભુએ કહ્યું :

પ્રભુની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને
તથા સંપૂર્ણ થઈને તમે દઢ રહો.

૨૦.

ઈશ્વરપ્રેરિત શાસ્ત્ર શિક્ષણ અર્થે ઉપયોગી છે જેથી
ઈશ્વરભક્ત સંપૂર્ણ તથા સર્વ સત્કર્મ સારુ તૈયાર થાય.

૨૧.

જે સેવા તમને સોંપવામાં આવી છે
તે સંપૂર્ણ રીતે કરવાને સાવધ રહેવું.

૨૨.

તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને
કશામાં અપૂર્ણ ન રહો,
માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.

૨૩.

તમે થોડીવાર સહન કરો ત્યાર પછી
હું પોતે તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરીશ.

૨૪.

મારી શાંતિ તમારા હૃદયોમાં રાજ્ય કરે.
મારી શાંતિ તમારા મનનું તથા હૃદયનું રક્ષણ કરશે.

૨૫.

શિષ્યે કહ્યું :

જેવા સ્વર્ગીય પિતા પૂર્ણ છે
તેવા આપણે પૂર્ણ થઈએ.

૨૬.

જેમણે આપણામાં સારાં કામનો આરંભ કર્યો
તે તેને સંપૂર્ણ કરતા જશે.

૨૭.

જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેઠે બોલતો હતો.
બાળકની પેઠે વિચારતો હતો.
બાળકની પેઠે સમજતો હતો ;

૨૮.

પણ મોટો થયા પછી મેં બાળકની વાતો પૂકી દીધી છે.
જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે.

૨૯.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં
પૂર્ણયોગ નામે અષ્ટાદશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (17), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

વિશુદ્ધિયોગ

નામ

સપ્તદશ અધ્યાય


પ્રભુએ કહ્યું :

હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ.

૧.

શ્રદ્ધાવાન બોલ્યા :

જેણે આપણને તેડયા છે તે પ્રભુ જેવા પવિત્ર છે
તેવા આપણે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થઈએ.

૨.

આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતા દૂર કરીને
પોતે શુદ્ધ થઈએ,
અને પ્રભુનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.

૩.

પ્રભુની નજરમાં નિર્દોષ તથા નિષ્કલંક થઈને
શાંતિમાં રહેવાને યત્ન કરીએ.

૪.

પ્રભુ ઈસુએ કહ્યું :

હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો ;

શ્રદ્ધાવાને હર્ષથી કહ્યું :

જો જડ પવિત્ર, તો ડાળીઓ પણ પવિત્ર.

૫.

પ્રભુએ કહ્યું :

તમે સત્યને આધીન રહીને તમારાં મન પવિત્ર કર્યાં છે.
વિશ્વાસથી તમારાં મન પવિત્ર કરવામાં આવે છે.

૬.

જો કોઈ નીચ કર્મોથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે
તો તે ઉત્તમ કાર્યોને સારુ પવિત્ર કરેલું,
સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે
તૈયાર કરેલું પાત્ર થશે.

૭.

ત્યારે એક શ્રદ્ધાવાન બોલ્યા :

પ્રભુ આપણને સઘળાં પાપથી શુદ્ધ કરે છે.
જે પ્રભુનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું.

૮.

આપણે સંસારથી પોતાને નિષ્કલંક રાખીએ.
પરમેશ્વર તથા માણસોની પ્રત્યે હમેશાં
નિર્દોષ અંત:કરણ રાખવાને પ્રયત્ન કરીએ.

૯.

જે કોઈ બાબતમાં આપણું અંત કરણ આપણને
દોષિત ઠરાવે છે
તે વિશે પરમેશ્વરની આગળ આપણા અંત:કરણને
શાંત કરીશું.

૧૦.

કારણ કે આપણા અંત:કરણ કરતાં તે મોટા છે
અને તે સઘળું જાણે છે.

૧૧.

પ્રભુ આપણા હિતને સારુ શિક્ષા કરે છે,
કે આપણે તેમની પવિત્રતાના ભાગીદાર થઈ એ.

૧૨.

શાંતિદાતા ઈશ્વર આપણને પૂરા પવિત્ર કરો, અને
આપણો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ નિર્દોષ
રાખવામાં આવો,

૧૩.

અને પ્રભુ આપણને પવિત્ર, નિષ્કંલક તથા નિર્દોષ
પોતાની સમ્મુખ રજૂ કરો.

૧૪.

પ્રભુએ કહ્યું :

કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ
ઈશ્વરના નિષ્કલંક સંતાન
જ્યોતિઓ જેવા જગતમાં દેખાઓ.

૧૫.

એકવાર પવિત્ર થયા પછી ભક્તોનાં અંત:કરણમાં
ફરી પાપની અંતર્વાસના થતી નથી.
શુદ્ધને મન સઘળું શુદ્ધ છે.

૧૬.

પાપથી મુક્ત થએલા અને પ્રભુના દાસ થએલા હોવાથી
તમે પવિત્ર થાઓ છો, અને
પરિણામે તમને અનંત જીવન મળે ને.

૧૭.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
વિશુદ્ધિયોગ નામનો સપ્તદશ અધ્યાય સમાપ્ત.


(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (16), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

જ્ઞાનયોગ

નામ

ષોડશ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

સર્વ માણસો મોક્ષ પામે અને
સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે એવી મારી ઇચ્છા છે.

૧.

હું મનુષ્યને અનંતજીવન આપું છું,
અનંતજીવન એ છે કે તેઓ મને ઓળખે.

૨.

શ્રદ્ધાવાન બોલ્યા :

પ્રભુ, અમે બીજાં કોની પાસે જઈએ ?
અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.

૩.

પ્રભુ ઈસુ બોલ્યા :

પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી ;
પણ મેં તમને મિત્ર કહ્યા છે,
અને બધી વાતો મેં તમને જણાવી છે.

૪.

કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી.

૫.

મારો આત્મા તમારામાં વસે છે
અને તમને સર્વ બાબતો વિષે શીખવે છે
અને જે જે થનાર છે તે તમને કહી દેખાડશે.

૬.

સત્યનો આત્મા તમને સર્વ સત્યમાં દોરી જશે.
હું સર્વ બાબતની તમને સમજણ આપીશ.
મારી ઓળખમાં સદા વધતાં જાઓ.

૭.

ત્યારે અભ્યર્થનાભાવે શ્રદ્ધાવાને કહ્યું :

મહિમાવાન પિતા, તમારા પોતાના સંબંધીના જ્ઞાનને સારુ
બુદ્ધિ તથા પ્રકટીકરણનો આત્મા અમને આપો,

૮.

જેથી અમે સર્વ આધ્યાત્મિક સમજણ તથા બુદ્ધિમાં
ઈશ્વરી ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થઈએ.

૯.

જ્ઞાનમાં તથા સર્વ વિવેકમાં અમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી જાય
જેથી જે શ્રેષ્ઠ છે તે અમે પારખી લઈએ

૧૦.

અને અમારા તારણહાર તથા સ્વામીના જ્ઞાનમાં વધતા જઈએ
અને પ્રભુની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી અમારામાં રહે.

૧૧.

આહા ! પ્રભુ, તમારી બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ
કેવી અગાધ છે !
તમારા ઠરાવો કેવા ગૂઢ. અને તમારા માર્ગો કેવા
અગમ્ય છે !

૧૨.

મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે
હું મારા સર્વ લાભને કચરું જ ગણું છું.

૧૩.

સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી
પંણ સત્યના સમર્થનને સારુ બધું કરીએ છીએ.

૧૪.

પ્રભુને ઓળખવાથી તેમણે આપણને
જીવન તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યાં છે.

૧૫.

પ્રભુને ઓળખવાથી આપણા પર
કૃપા તથા શાંતિ પુષ્કળ થાય છે.

૧૬.

પ્રભુએ કહ્યું :

જે કહે છે, કે હું પરમેશ્વરને ઓળખું છું ; પણ
પરમેશ્વરની આજ્ઞા પાળતો નથી
તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી.

૧૭.

જે કોઈ પાપ કરે છે તેણે
પરમેશ્વરને જોયા નથી અને તેમને ઓળખતો નથી.

૧૮.

પોતાનાં મનની ભ્રમણામાં તે ચાલે છે ;
અને તેની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી અને
હૃદયની કઠણતાથી જે અજ્ઞાન થાય છે તેને લીધે
ઈશ્વરીય જીવનથી તે દૂર છે.

૧૯.

તે પરમેશ્વરને વિશે જાણવાનો ડોળ કરે છે પણ
પોતાનાં કૃત્યોથી તેમનો નકાર કરે છે.

૨૦.

સાવધાન રહો, રખેને તત્ત્વજ્ઞાનનો ખાલી આડંબર,
જે માણસોના સંપ્રદાય પ્રમાણે અને સંસારના તત્ત્વો પ્રમાણે છે,
તેનાથી કોઈ તમને ફસાવે.

૨૧.

જગતે પોતાના જ્ઞાન વડે ઈશ્વરને ઓળખ્યો નહિ.

૨૨.

( એવું ) જ્ઞાન ગર્વિષ્ઠ કરે છે ;
પણ પ્રીતિ ઉન્નતિ કરે છે.

૨૩.

પ્રેમ પરમેશ્વરથી છે.
જો કોઈ પરમેશ્વર પર પ્રેમ રાખે છે
તો તે પરમેશ્વરને ઓળખે છે.

૨૪.

સાંસારિક માણસ મારી આધ્યાત્મિક વાતોનો સ્વીકાર કરતો નથી
કેમકે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે.

૨૫.

તે આધ્યાત્મિક રીતે સમજાય છે,
માટે તે તેને સમજી શકતો નથી.

૨૬.

ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાત કોઈ જાણતો નથી.

૨૭.

ત્યારે એક શ્રદ્ધાવાને કહ્યું :

જ્ઞાનીઓથી તથા તર્કશાસ્ત્રીઓથી, પ્રભુ,
તમે એ વાતો ગુપ્ત રાખીને બાળકોની આગળ પ્રગટ કરી છે.

૨૮.

પરમેશ્વરનું મન કોણે જાણ્યું છે ?
પણ અમને પ્રભુ ઈસુનું મન છે.

૨૯.

અમે પ્રભુ તરફથી આત્મા પામ્યા છીએ, કે
પ્રભુએ જે વાનાં અમને આપ્યાં છે તે અમે જાણીએ.

૩૦.

પ્રકટીકરણથી પ્રભુએ મને મર્મ જણાવ્યો.

૩૧.

જે પ્રભુએ અંધકારમાંથી તેજને પ્રકાશવાનું ફરમાવ્યું
તેણે આપણા હૃદયમાં પ્રકાશ કર્યો છે
જેથી પોતાના મહિમાના જ્ઞાનનો પ્રકાશ પાડે.

૩૨.

જે વાનાં આંખે જોયાં નથી અને કાને સાંભળ્યા નથી,
જે બાબતો માનવીનાં મનમાં પ્રવેશ પામી નથી,
તે પ્રભુએ પોતાના આત્માથી અમને પ્રગટ કર્યાં છે.

૩૩.

પ્રભુએ કહ્યું :

જે જ્ઞાન મારી પાસેથી આવે છે તે નિર્મળ,
સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજાય એવું,
દયા તથા સારાં ફળોથી ભરપૂર,
નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે.

૩૪.

જ્ઞાની જ્ઞાનથી મળેલી નમ્રતાદ્વારા
સદાચરણ વડે પોતાનાં સુકૃત્યો દેખાડે.
જ્ઞાન પોતાનાં સુકૃત્યોથી યથાર્થ ઠરે છે.

૩૫.

જે કોઈ મારું વચન સાંભળે છે અને સમજે છે અને
ચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે
તે ધીરજથી ફળ આપે છે.

૩૬.

પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો.
પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.
તમે મારી પાસે શીખો.

૩૭.

એક ગામમાં બે બહેનોએ પોતાને ઘેર
પ્રભુને પરોણા રાખ્યા.

૩૮.

નાની બહેન પ્રભુના ચરણ આગળ બેસીને
પ્રભુની વાત સાંભળતી હતી,
પણ મોટી બહેન કામ ઘણું હોવાથી ગભરાઈ.

૩૯.

તેણે પ્રભુને કહ્યું :

પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી પૂકી છે.

૪૦.

પ્રભુએ તેને કહ્યું :

તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે ;
પણ એક વાતની જરૂર છે

૪૧.

અને તારી બહેને સારો ભાગ પસંદ કર્યો છે
જે ભાગ તેની પાસેથી લઈ લેવાશે નહિ.

૪૨.

ત્યારે એક શિષ્ય બોલ્યા :

આપણે જાણીએ છીએ કે પ્રભુ આવ્યા છે
અને જે સાચો છે તેને ઓળખવા સારુ સમજણ આપી છે.

૪૩.

જે સાચો છે એનામાં આપણે છીએ.
એ જ ખરો ઈશ્વર છે તથા અનંતજીવન છે.

૪૪.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
જ્ઞાનયોગ નામનો ષોડશ અધ્યાય સમાપ્ત.


(keyboarding by Marko Malyj, 2003)


જ્ઞાનયોગ

નામ

ષોડશ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

સર્વ માણસો મોક્ષ પામે અને
સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે એવી મારી ઇચ્છા છે.

૧.

હું મનુષ્યને અનંતજીવન આપું છું,
અનંતજીવન એ છે કે તેઓ મને ઓળખે.

૨.

શ્રદ્ધાવાન બોલ્યા :

પ્રભુ, અમે બીજાં કોની પાસે જઈએ ?
અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.

૩.

પ્રભુ ઈસુ બોલ્યા :

પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી ;
પણ મેં તમને મિત્ર કહ્યા છે,
અને બધી વાતો મેં તમને જણાવી છે.

૪.

કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી.

૫.

મારો આત્મા તમારામાં વસે છે
અને તમને સર્વ બાબતો વિષે શીખવે છે
અને જે જે થનાર છે તે તમને કહી દેખાડશે.

૬.

સત્યનો આત્મા તમને સર્વ સત્યમાં દોરી જશે.
હું સર્વ બાબતની તમને સમજણ આપીશ.
મારી ઓળખમાં સદા વધતાં જાઓ.

૭.

ત્યારે અભ્યર્થનાભાવે શ્રદ્ધાવાને કહ્યું :

મહિમાવાન પિતા, તમારા પોતાના સંબંધીના જ્ઞાનને સારુ
બુદ્ધિ તથા પ્રકટીકરણનો આત્મા અમને આપો,

૮.

જેથી અમે સર્વ આધ્યાત્મિક સમજણ તથા બુદ્ધિમાં
ઈશ્વરી ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થઈએ.

૯.

જ્ઞાનમાં તથા સર્વ વિવેકમાં અમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી જાય
જેથી જે શ્રેષ્ઠ છે તે અમે પારખી લઈએ

૧૦.

અને અમારા તારણહાર તથા સ્વામીના જ્ઞાનમાં વધતા જઈએ
અને પ્રભુની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી અમારામાં રહે.

૧૧.

આહા ! પ્રભુ, તમારી બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ
કેવી અગાધ છે !
તમારા ઠરાવો કેવા ગૂઢ. અને તમારા માર્ગો કેવા
અગમ્ય છે !

૧૨.

મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે
હું મારા સર્વ લાભને કચરું જ ગણું છું.

૧૩.

સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી
પંણ સત્યના સમર્થનને સારુ બધું કરીએ છીએ.

૧૪.

પ્રભુને ઓળખવાથી તેમણે આપણને
જીવન તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યાં છે.

૧૫.

પ્રભુને ઓળખવાથી આપણા પર
કૃપા તથા શાંતિ પુષ્કળ થાય છે.

૧૬.

પ્રભુએ કહ્યું :

જે કહે છે, કે હું પરમેશ્વરને ઓળખું છું ; પણ
પરમેશ્વરની આજ્ઞા પાળતો નથી
તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી.

૧૭.

જે કોઈ પાપ કરે છે તેણે
પરમેશ્વરને જોયા નથી અને તેમને ઓળખતો નથી.

૧૮.

પોતાનાં મનની ભ્રમણામાં તે ચાલે છે ;
અને તેની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી અને
હૃદયની કઠણતાથી જે અજ્ઞાન થાય છે તેને લીધે
ઈશ્વરીય જીવનથી તે દૂર છે.

૧૯.

તે પરમેશ્વરને વિશે જાણવાનો ડોળ કરે છે પણ
પોતાનાં કૃત્યોથી તેમનો નકાર કરે છે.

૨૦.

સાવધાન રહો, રખેને તત્ત્વજ્ઞાનનો ખાલી આડંબર,
જે માણસોના સંપ્રદાય પ્રમાણે અને સંસારના તત્ત્વો પ્રમાણે છે,
તેનાથી કોઈ તમને ફસાવે.

૨૧.

જગતે પોતાના જ્ઞાન વડે ઈશ્વરને ઓળખ્યો નહિ.

૨૨.

( એવું ) જ્ઞાન ગર્વિષ્ઠ કરે છે ;
પણ પ્રીતિ ઉન્નતિ કરે છે.

૨૩.

પ્રેમ પરમેશ્વરથી છે.
જો કોઈ પરમેશ્વર પર પ્રેમ રાખે છે
તો તે પરમેશ્વરને ઓળખે છે.

૨૪.

સાંસારિક માણસ મારી આધ્યાત્મિક વાતોનો સ્વીકાર કરતો નથી
કેમકે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે.

૨૫.

તે આધ્યાત્મિક રીતે સમજાય છે,
માટે તે તેને સમજી શકતો નથી.

૨૬.

ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાત કોઈ જાણતો નથી.

૨૭.

ત્યારે એક શ્રદ્ધાવાને કહ્યું :

જ્ઞાનીઓથી તથા તર્કશાસ્ત્રીઓથી, પ્રભુ,
તમે એ વાતો ગુપ્ત રાખીને બાળકોની આગળ પ્રગટ કરી છે.

૨૮.

પરમેશ્વરનું મન કોણે જાણ્યું છે ?
પણ અમને પ્રભુ ઈસુનું મન છે.

૨૯.

અમે પ્રભુ તરફથી આત્મા પામ્યા છીએ, કે
પ્રભુએ જે વાનાં અમને આપ્યાં છે તે અમે જાણીએ.

૩૦.

પ્રકટીકરણથી પ્રભુએ મને મર્મ જણાવ્યો.

૩૧.

જે પ્રભુએ અંધકારમાંથી તેજને પ્રકાશવાનું ફરમાવ્યું
તેણે આપણા હૃદયમાં પ્રકાશ કર્યો છે
જેથી પોતાના મહિમાના જ્ઞાનનો પ્રકાશ પાડે.

૩૨.

જે વાનાં આંખે જોયાં નથી અને કાને સાંભળ્યા નથી,
જે બાબતો માનવીનાં મનમાં પ્રવેશ પામી નથી,
તે પ્રભુએ પોતાના આત્માથી અમને પ્રગટ કર્યાં છે.

૩૩.

પ્રભુએ કહ્યું :

જે જ્ઞાન મારી પાસેથી આવે છે તે નિર્મળ,
સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજાય એવું,
દયા તથા સારાં ફળોથી ભરપૂર,
નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે.

૩૪.

જ્ઞાની જ્ઞાનથી મળેલી નમ્રતાદ્વારા
સદાચરણ વડે પોતાનાં સુકૃત્યો દેખાડે.
જ્ઞાન પોતાનાં સુકૃત્યોથી યથાર્થ ઠરે છે.

૩૫.

જે કોઈ મારું વચન સાંભળે છે અને સમજે છે અને
ચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે
તે ધીરજથી ફળ આપે છે.

૩૬.

પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો.
પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.
તમે મારી પાસે શીખો.

૩૭.

એક ગામમાં બે બહેનોએ પોતાને ઘેર
પ્રભુને પરોણા રાખ્યા.

૩૮.

નાની બહેન પ્રભુના ચરણ આગળ બેસીને
પ્રભુની વાત સાંભળતી હતી,
પણ મોટી બહેન કામ ઘણું હોવાથી ગભરાઈ.

૩૯.

તેણે પ્રભુને કહ્યું :

પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી પૂકી છે.

૪૦.

પ્રભુએ તેને કહ્યું :

તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે ;
પણ એક વાતની જરૂર છે

૪૧.

અને તારી બહેને સારો ભાગ પસંદ કર્યો છે
જે ભાગ તેની પાસેથી લઈ લેવાશે નહિ.

૪૨.

ત્યારે એક શિષ્ય બોલ્યા :

આપણે જાણીએ છીએ કે પ્રભુ આવ્યા છે
અને જે સાચો છે તેને ઓળખવા સારુ સમજણ આપી છે.

૪૩.

જે સાચો છે એનામાં આપણે છીએ.
એ જ ખરો ઈશ્વર છે તથા અનંતજીવન છે.

૪૪.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
જ્ઞાનયોગ નામનો ષોડશ અધ્યાય સમાપ્ત.


(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (15), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

યજ્ઞ, તપ, દાન

નામ

પંચદશ અધ્યાય


પ્રભુએ કહ્યું :

જેઓ આધ્યાત્મિક છે
તેઓ આધ્યાત્મિક બાબતો પર મન લગાડે છે.

૧.

જે આધ્યાત્મિક યજ્ઞો ઈશ્વરને પસંદ છે
તે કરવાને માટે તમે પવિત્ર યાજકો થયા છો.

૨.

પવિત્રાત્માથી પાવન થઈને
તમે માન્ય અર્પણ થાઓ.

૩.

તમારા શરીરોનું જીવંત, પવિત્ર
તથા પ્રભુને પસંદ પડે એવું અર્પણ કરો.

૪.

પ્રભુને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે
તેમનાં નામને સત્કારનાર હોઠોનાં ફળનું અર્પણ નિત્ય
કરીએ.

૫.

ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું ભૂલીએ નહિ
કેમકે એવા યજ્ઞથી પ્રભુ બહુ સંતુષ્ટ થાય છે.

૬.

દાન તો સુગંધિત ધૂપ અને માન્ય અર્પણ છે,
જે પ્રભુને પ્રિય છે.

૭.

પ્રભુ ઈસુ બોલ્યા :

માણસો જુએ એવા હેતુથી તેઓની આગળ
ધર્મકૃત્યો કરવાથી સાવધ રહો.

૮.

જ્યારે તું ઉપવાસ કરે ત્યારે માણસોને નહિ પણ
ગુપ્તમાં ઈશ્વરને ઉપવાસી દેખા.

૯.

જ્યારે તું દાન કરે ત્યારે
તારો જમણો હાથ જે કરે તે ડાબો હાથ ન જાણે.
તારાં દાનધર્મ ગુપ્તમાં થાય.

૧૦.

જ્યારે તું જમણ આપે ત્યારે દરિદ્રીઓને, અપંગોને,
લંગડાઓને તથા આંધળાઓને બોલાવ,
કેમકે તને બદલો આપવા તેઓની પાસે કંઈ નથી.

૧૧.

પ્રભુ ઈસુએ શ્રીમંતોને ધર્મભંડારમાં દાન નાખતાં જોયા,
અને એક ગરીબ વિધવાને તેમાં બે પાઈ નાખતાં જોઈ.

૧૨.

ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું :

આ ગરીબ વિધવાએ
એ સઘળા કરતાં વધારે દાન કર્યું છે.

૧૩.

કારણ કે સૌએ પોતપોતાની પૂંજીના નધારામાંથી
કંઈક દાન આપ્યું ;
પણ આ ગરીબ વિધવાએ પોતાની તંગીમાંથી
પોતાની જે ઉપજીવિકા હતી તે બધી આપી દીધી.

૧૪.

તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો.
સ્વર્ગમાં અખૂટ દ્રવ્ય પોતાને સારુ મેળવો.

૧૫.

જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત રહેશે.

૧૬.

દાન કરનારે ઉદારતાથી કરવું.
જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી

૧૭.

સર્વ પ્રકારના લોભથી દૂર રહો ;
કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં સમાયેલું નથી.

૧૮.

દ્રવ્યનો લોભ સર્વ પ્રકારના પાપનું મૂળ છે ;
હે ઈશ્વરભક્ત, તું તેનાથી નાસી જા.

૧૯.

ભક્તે કહ્યું :

આપણે દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ
ઉપભોગને સારુ ઉદારતાથી સર્વ આપનાર
પ્રભુ પર આશા રાખીએ.

૨૦.

ભલું કરીએ, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવીએ,
ઉદાર તથા પરોપકારી થઈએ.

૨૧.

જરૂરના ખર્ચને સારુ સારા ધંધારોજગાર કરવાનું શીખીએ.
ઉદ્યોગ કરીને નબળાઓને સહાય કરવી જોઈએ.

૨૨.

પ્રભુએ કહ્યું :

મોટી મોટી બાબતો પર મન ન લગાડો
પણ નમ્ર ભાવે દીનોની કાળજી રખો.

૨૩.

લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.
દરિદ્રીઓને સંભારજો.

૨૪.

તમે પોતા વિશે સાવધાન રહો,
રખેને અતિશય ખાનપાનથી તથા સાંસારિક ચિંતાથી
તમારાં મન જડ થઈ જાય.

૨૫.

દરેક પોતાની સંભાળ રાખે
રખેને પ્રલોભનમાં પડે.

૨૬.

ભક્તે કહ્યું :

અમે દરેક વિચારને વશ કરીને
પ્રભુને આધીન કરીએ છીએ.

૨૭.

પ્રભુ ઈસુએ કહ્યું :

જો તારો જમણો હાથ તને પ્રલોભનમાં પાડે તો
તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે.

૨૮.

જો તારી જમણી આંખ તને પ્રલોભનમાં પાડે તો
તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે.

૨૯.

તારી આંખ નિર્મળ હોય તો તારું શરીર પણ
પ્રકાશે ભરેલું હોય છે.
તારામાં જે પ્રકાશ છે તે અંધકારરૂપ ન હોય માટે
સાવધાન રહે.

૩૦.

તમે કેવી રીતે સાંભળો છો તે વિશે સાવધ રહો.

૩૧.

પોતાની જીભને વશ કરો.
તમારું બોલવું હા તે સાફ હા
અને ના તે સાફ ના હોય.

૩૨.

તમારા મુખમાંથી કંઈ પણ મલિન વચન ન નીકળે
પણ જે ઉન્નતિને સારુ આવશ્યક હોય તે જ નીકળે.
તમારું બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય.

૩૩.

ભક્તે કહ્યું :

અમે માણસોને પ્રસન્ન કરનારની પેઠે નહિ, પણ
હૃદયના પારખનાર પ્રભુને પ્રસન્ન કરવાને બોલીએ છીએ.

૩૪.

પ્રભુ બોલ્યા :

જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે
તે પોતે ન પડે માટે સાવચેત રહે.

૩૫.

તમારા મનની કમર બાંધીને સાવધ રહો,
સંયમી તાઓ.

૩૬.

સાવધાન રહીને પ્રાર્થના કરો, કે તમે પ્રલોભનમાં ન પડો.
આત્મા તત્પર છે ખરો પણ શરીર અબળ છે.

૩૭.

જે દાસોને ધણી આવીને જાગૃત જોશે
તેઓને ધન્ય છે.

૩૮.

ભક્તે કહ્યું :

દરેક પહેલવાન સવ પ્રકારે સ્વદમન કરે છે.
હું મારા દેહનું દમન કરું છું
અને તેને વશ રાખું છું.

૩૯.

જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો
આપણો ન્યાય કરવામાં નહિ આવે.

૪૦.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
યજ્ઞ, તપ, દાન નામનો પંચદશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (14), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

સમર્પણયોગ

નામ

ચતુર્દશ અધ્યાય


એક શાસ્ત્રીએ પ્રભુ ઈસુની પાસે આવીને કહ્યું :

જ્યાં કંઈ તમે જશો ત્યાં
હું તમારી પાછળ આવીશ.

૧.

પ્રભુ ઈસુ બોલ્યા :

શિયાળને બોડ હોય છે અને
પક્ષીઓને માળા હોય છે
પણ મારે માથું મૂક્વાને ઠામ નથી.

૨.

એક ધનવાન જુવાને તેમની પાસે આવીને પૂછ્યું :
અનંતજીવનનો વારસો પામવાને હું શું કરું ?

૩.

પ્રભુએ તેને કહ્યું :

તું એક વાત સંબંધી અધૂરો છે ;
તારું જે છે તે બધું વેચી નાખ
અને દરિદ્રીઓને આપી દે
અને પછી મારી પાછળ ચાલ.

૪.

જો કોઈ માણસ આખી દુનિયા મેળવીને
પોતાના આત્માની હાનિ પામે તો તેને શો લાભ ?

૫.

જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી
તે મારો શિષ્ય થઈ શકતો નથી.

૬.

મારાં કરતાં જે બાપ અથવા મા પર
વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી.

૭.

મારા કરતાં જે દીકરાદીકરી પર
વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી.

૮.

શિષ્યે કહ્યું :

જુઓ, અમે પોતાનું સર્વસ્વ મૂકીને
તમારી પાછળ આવ્યા છીએ.

૯.

પ્રભુ ઈસુ બોલ્યા :

જો કોઈ મારી પાછળ આવવા ચારે તો
તેણે સ્વનકાર કરવો અને
દરરોજ પોતાની શૂળી ( વધસ્તંભ ) ઊંચકીને
મારી પાછળ ચાલવું.

૧૦.

જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે
તે તેને ખોશે ;
પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે
તે પોતાનો જીવ બચાવશે

૧૧.

જે વાવીએ છીએ તે જો મરે નહિ
તો તે સજીવન પણ થાય નહિ.

૧૨.

જો ઘઉંનો દાણો ભોંયમાં પડીને મરી નહિ જાય
તો તે એકલો રહે છે,
પણ જો તે મરી જાય તો તે ઘણાં ફળ આપે છે.

૧૩.

જે કોઈ પોતાના જીવ પર પ્રીતિ રાખે છે
તે તેને ખુએ છે,
અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે
તે અનંત જીવનને સારુ તેને બચાવી રાખે છે.

૧૪.

એક શિષ્યે કહ્યું :

પ્રભુ વધતા જાય, પણ હું ઘટતો જાઉં
એ આવશ્યક છે.

૧૫.

જે વાનાં મને લાભકારક હતાં
તે મેં પ્રભુને ખાતર ખોટરૂપ ગણ્યાં.

૧૬.

એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું અને
તેઓને કચરું જ ગણું છું,
કે જેથી હું ખ્રિસ્ત પ્રભુને પામું.

૧૭.

હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ દરકાર કરતો નથી,
એ માટે કે જે સેવા કરવાની પ્રભુ પાસેથી મને મળી છે
તે સેના હું પૂર્ણ કરું.

૧૮.

શરતમાં દોડનાર સર્વે ઇનામ મેળવવા દોડે છે,
તો પણ એકને જ ઇનામ મળે છે.

૧૯.

આપણે સારુ ઠરાવેલી દોડમાં ધીરજથી દોડીએ ;
એમ દોડીએ કે આપણને ઇનામ મળે.

૨૦.

ઈશ્વરપરાયણતાની કસરત કરીએ.

૨૧.

શારીરિક કસરત થોડી જ ઉપયોગી છે
પણ ઈશ્વરપરાયણતા સર્વ રીતે ઉપયોગી છે.

૨૨.

કારણ કે હાલના જીવનનાં તથા
આ પછીનાં જીવનનાં વરદાન તેમાં સમાયેલાં છે.

૨૩.

યુદ્ધમાં જનાર કોઈ સૈનિક
સાંસારિક કામકાજમાં ગુંથાતો નથી.

૨૪.

સઘળી વસ્તુઓ ઉચિત છે, પણ સઘળી ઉપયોગી નથી.
સઘળી વસ્તુઓ ઉચિત છે, પણ સઘળી ઉન્નતિકારક નથી.

૨૫.

સઘળી વસ્તુની મને છૂટ છે, પણ સઘળી : લાભકારક નથી,
સઘળી વસ્તુની મને છૂટ છે, પણ હું કોઈને આધીન
થવાનો નથી.

૨૬.

જે અવસ્થામાં હું છું તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું.
આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેનાથી આપણે સંતોષી રહીએ.

૨૭.

શ્રદ્ધાળુઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું.
અને પોતાનાં જે વાનાં હતાં તે
મારાં પોતાનાં છે એમ કોઈ કહેતું નહિ ;
પણ સઘળી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી.

૨૮.

તેઓમાંના કોઈને કશાની અછત નહોતી ;
કારણ કે તેઓ પોતાની મિલકત વેચી નાખતા,
અને દરેકની અગત્ય પ્રમાણે સર્વેને વહેંચી આપતા.

૨૯.

અશક્તોની નિર્બળતાને સહન કરવી
અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું
એ આપણ શક્તિમાનોની ફરજ છે.

૩૦.

સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને
પ્રેમથી એકબીજાનું સહન કરીએ.

૩૧.

પ્રભુ બોલ્યા :

જેઓ પ્રભુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે
તેઓ સઘળા પર સતામણી થશે જ.

૩૨.

જ્યારે લોકો તમારી નિંદા કરશે, પૂઠે લાગશે,
મારે લીધે તમારી વિરુદ્ધ ભૂંડી વાત અસત્યતાથી કહેશે
ત્યારે તમને ધન્ય છે ;
તમે આનંદ કરો તથા હરખાઓ.

૩૩.

જો તમે ધર્મપરાયણતાને લીધે સહન કરો છો તો
તમને ધન્ય છે.

૩૪.

સારું કરવાને લીધે જ્યારે તમે દુ:ખ ભોગવો છો
ત્યારે જો સહન કરો છો તો તે મારી દષ્ટિમાં પ્રશંસા
પાત્ર છે.

૩૫.

જો કોઈ માણસ મારા તરફના ભક્તિભાવને લીધે
અન્યાય વેઠીને દુ:ખ સહે છે,
તો ને મારી દષ્ટિમાં પ્રશંસા પાત્ર છે.

૩૬.

સ્વામીના સારા સૈનિક તરીકે દુ:ખ સહન કર.
તારે જે સહન કરવું પડશે તેનાથી બીતો ના.

૩૭.

જેટલા પર હું પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું,
તથા શિક્ષા કરું છું.

શિક્ષણને ખાતર તમારે સહન કરવું પડે છે ;
વિપત્તિને લીધે કોઈ ડગી ન જાય.

૩૮.

એક શિષ્યે કહ્યું :

પ્રભુએ આપણે માટે દેહમાં સહ્યું છે માટે
આપણે પણ એવું જ મન રાખીને સજ્જ થઈએ.

૩૯.

ખ્રિસ્ત પ્રભુના દુ:ખોના આપણે ભાગીદાર છીએ
એને લીધે હરખાઈએ.

૪૦.

ખ્રિસ્ત પ્રભુ પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહિ
પણ તેમની ખાતર દુ:ખ પણ સહેવું.

૪૧.

પ્રભુ ઈસુના સંકટોની જે ન્યૂનતા હોય
તે હું મારા શરીર દ્વારા પૂરી કરું છું.

૪૨.

આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ.
કેમકે વિપત્તિ ધીરજને, ધીરજ અનુભવને અને
અનુભવ આશાને જન્મ આપે છે.

૪૩.

વિપત્તિથી ભારે કસોટી થયા છતાં
પુષ્કળ આનંદ થાય છે.
ભારે દરિદ્રતા છતાં ઉદારતારૂપ સમૃદ્ધિ પુષ્કળ વધે છે.

૪૪.

જોકે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે તોપણ
અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે.

૪૫.

અમારી જૂજ તથા ક્ષણિક વિપત્તિ અમારે સારુ
અત્યંત વિશેષ સાર્વકાલિક ભારે મહિમા ઉત્પન્ન કરે છે.

૪૬.

પ્રભુ બોલ્યા :

તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા,
તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું.

૪૭.

તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે
અને હું તને જીવનનો મુગટ આપીશ.

૪૮.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
સમર્પણયોગ નામનો ચતુર્દશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (13), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

પરમપુરુષયોગ

નામ

ત્રયોદશ અધ્યાય


પ્રભુએ કહ્યું :

પહેલું પ્રાણિક
અને પછી અધ્યાત્મિક.

૧.

પહેલો પુરુષ પૃથ્વીમાંથી પૃતિકાનો છે ;
બીજો પુરુષ સ્વર્ગથી પ્રભુ છે.

૨.

જેવો પ્રથમ પુરુષ મૃતિકાનો છે,
તેવા જ જેઓ મૃતિકાના છે તેઓ છે.

૩.

જેવો સ્વર્ગીય પુરુષ હું છું
તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે.

૪.

ભક્તે કહ્યું :

પ્રથમ આદિ પિતામહ સજીવ પ્રાણી થયા,
અંતિમ પરમપુરુષ પ્રભુ ખ્રિસ્ત જીવન પ્રદાયક આત્મા થયા.

૫.

આદિ પિતામહથી જગતમાં પાપ પેઠું
અને પાપથી મૃત્યુ.

૬.

સઘળાંએ પાપ કર્યું
તેથી સઘળાં માણસમાં મૃત્યુતો પ્રસાર થયો.

૭.

એ આદિપિતામહ પરમપુરુષના પ્રતીકરૂપ હતા.

૮.

આદિપિતાથી પાપને લીધે મૃત્યુએ રાજ કર્યું ;

૯.

તેમ પરમપુરુષથી જેઓ કૃપા અને ન્યાયીપણાનું દાન પામે છે
તેઓ શાશ્વત જીવનમાં રાજ કરશે.

૧૦.

જે જૈતુન વૃક્ષ કુદરતથી જંગલી હતું
તેમાંથી આપણને કાપી કાઢવામાં આવ્યા,

૧૧.

અને સારા જૈતુન વૃક્ષમાં કલમરૂપે મેળવવામાં આવ્યા ;
અને આપણે સારા જૈતુનની રસભરી જડના સહભાગી થયા.

૧૨.

આપણે ખ્રિસ્ત પ્રભુના ભાગીદાર થયા છીએ.
આપણે પ્રભુના શરીરના અવયવો છીએ.

૧૩.

પ્રભુ ઈસુ બોલ્યા :

હું તેમને જીવન આપું છું.
તેઓ મારામાં રહે છે અને હું તેમનામાં રહું છું.

૧૪.

ભક્તે કહ્યું :

આપણે પાપમાં તથા અપરાધોમાં મૃત હતા ત્યારે
પ્રભુએ પોતાની સંગતમાં આપણને સજીવન કર્યા.

૧૫.

આપણે પાપના સંબંધમાં મૃત
પરંતુ પ્રભુના સંબંધમાં જીવંત છીએ.

૧૬.

ખ્રિસ્ત પ્રભુ આપણામાં છે તો
( શરીર વાસનાઓ મૃત છે, પણ )
આત્મા જીવંત છે.

૧૭.

પ્રભુ પ્રત્યે જીવવાને હું મૂઓ.
હવેથી હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે.

૧૮.

પ્રભુને ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ
જેથી પ્રભુનું જીવન અમારા મર્ત્ય દેહમાં પ્રગટ કરવામાં આવે.

૧૯.

આપણે જેમ પ્રભુને સ્વીકાર્યા છે તેમ
પ્રભુની સાથે જીવંત એકતામાં રહીએ

૨૦.

ખ્રિસ્ત પ્રભુ આપણું જીવન છે.
આપણું જીવન પ્રભુમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે.

૨૧.

આપણને પ્રભુમાં ઉત્પન્ન કરવામાં આવ્યા છે.
આપણે પ્રભુના સ્વભાવના ભાગીદાર છીએ.

૨૨.

આપણે પ્રભુની પ્રતિમા તથા
પ્રભુનો મહિમા છીએ.

૨૩.

પ્રભુ આપણે સારુ જ્ઞાન, પુણ્ય,
પવિત્રતા અને ઉદ્ધાર થયા છે.

૨૪.

હું જે છું તે પ્રભુની કૃપાથી છું ;
તેમની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી.

૨૫.

પ્રભુમાં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા પૂર્તિમાન છે, અને
આપણે તેમનામાં સંપૂર્ણ થયા છીએ.

૨૬.

પ્રભુએ કહ્યું :

હું તમારામાં મહિમાવાન થયો છું.
મારો મહિમા મેં તમને આપ્યો છે.

૨૭.

ભક્તે કહ્યું :

પ્રભુ ઈસુનું નામ આપણામાં મહિમાવાન થાય ;
અને આપણે તેમનામાં મહિમાવાન થઈ એ.

૨૮.

ખ્રિસ્ત પ્રભુ આપણામાં
એ આપણા મહિમાની આશા છે.

૨૯.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં
પરમપુરુષયોગ નામનો ત્રયોદશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (12), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

બલિદાનયોગ

નામ

દ્વાદશ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

માણસોને જીવન મળે અને વિપુલ જીવન મળે
માટે હું આવ્યો છું.

૧.

ભક્ત બોલ્યા :

પ્રભુ ઈસુ, તમે ઈશ્વર છતાં
ઐશ્વર્યને પકડી રાખવાનું તમે ઇચ્છ્યું નહિ,

૨.

પણ દાસનું રૂપ ધારણ કરીને
એટલે માણસના રૂપમાં આવીને
પોતાને ખાલી કર્યા.

૩.

પ્રભુ ઈસુ બોલ્યા :

હું ઉત્તમ ઘેટાંપાળક છું :
ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારું પોતાનો પ્રાણ આપે છે.
માણસોને છોડાવી લેવા સારુ મારો પ્રાણ આપવાને
હું આવ્યો છું.

૪.

મારું શરીર માણસોને માટે વધેરાયું છે,
અને મારું રક્ત તેમનાં પાપોની માફીને અર્થે
વહેવડાવવામાં આવે છે.

૫.

ત્યારે ભક્તે પ્રભુનો નિર્દેષ કરીને કહ્યું :

જુઓ ઈશ્વરીય પુરુષ
જે જગતનું પાપ હરણ કરે છે.

૬.

જે નિષ્કલંક તથા નિર્દોષ છે, જે પોતે નિષ્પાપ છે,
તે પાપ હરણ કરવાને પ્રગટ થયા.

૭.

એક માણસથી જગતમાં પાપ પેઠું,
અને પાપથી મરણ પેઠું.

૮.

સઘળાંએ પાપ કર્યું
અને સર્વમાં મરણનો પ્રસાર થયો,
અને સર્વ માણસને દંડાજ્ઞા થઈ.

૯.

આપણે સર્વ ભટકી ગયાં,
દરેક પોતાને માર્ગે વળી ગયો.

૧૦.

અને જેમણે પાપ જાણ્યું ન હતું તે આપણે વાસ્તે પાપરૂપ થયા
એ માટે કે આપણે ઈશ્વરીય પુણ્યશીલતારૂપ થઈ એ.

૧૧.

પ્રભુ ખ્રિસ્તે આપણા પર પ્રીતિ કરી
અને આપણી ખાતર સ્વાર્પણ કરીને
પોતાનું બલિદાન આપ્યું.

૧૨.

સઘળાં માણસોના ઉદ્ધાર સારુ
તેમણે પોતાનું બલિદાન આપ્યું.

૧૩.

આપણ સર્વનાં પાપનો ભાર તેમણે લીધો
અને આપણા પાપનું પ્રાયશ્ચિત્ત થયા.

૧૪.

પ્રભુ પોતે અપરાધીમાં ગણાયા,
તેમણે ઘણાંઓના પાપ પોતે માથે લીધાં
અને અપરાધીઓને સારુ મધ્યસ્થતા કરી.

૧૫.

તેમનાં આજ્ઞાપાલનથી ઘણાં મનુષ્યો ન્યાયી ઠરે છે.
તેમનાં ન્યાયીકૃત્યથી સર્વ માણસોને
જીવનરૂપ ન્યાયીપણું પ્રાપ્ત થયું છે.

૧૬.

આપણાં પાપને લીધે તે વિંધાયા,
આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને તેમણે શિક્ષા વેઠી.

૧૭.

સનાતન આત્માથી તેમણે પોતાના પંડનું
દોષ રહિત બલિદાન આપ્યું.

૧૮.

પોતે પાપી દેહની સમાનતામાં આવીને અને
પાપ અર્થે અર્પણ થઈને
પોતાના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી.

૧૯.

પછી ભક્ત પ્રભુને કહેવા લાગ્યો :

હે સ્વામી, એમ કરવામાં તમે અમારા પર
પોતાનો પ્રેમ પ્રકટ કરો છો.

૨૦.

પોતાના બલિદાનથી પાપને દૂર કરવાને તમે પ્રગટ થયા, અને
સઘળા માણસોના ઉદ્ધારને શારુ આત્મસમર્પણ કર્યું.

૨૧.

ધર્મપરાયણ માણસને સારુ ભાગ્યે કોઈ મરે.
સારા માણસને સારુ કોઈક કદાપિ મરવાની હિમ્મત કરે,

૨૨.

પરંતુ અમે નિર્બળ હતા ત્યારે
અમો અધર્મીઓને સારુ તમે મરણ સહ્યું.

૨૩.

વધસ્તંભ પર પોતાના શરીરમાં તમે અમારાં પાપ માથે લીધાં
અને અમારાં પાપોને સારુ તમે બલિદાન આપ્યું.

૨૪.

પછી ભક્તે શ્રદ્ધાવાનોતે કહ્યું :

જેમણે પાપ જાણ્યું નહોતું
તે આપણે વાસ્તે પાપરૂપ થયા.

૨૫.

ન્યાયીએ અન્યાયી જનોને બદલે દુ:ખ સહ્યું

૨૬.

પ્રભુ ઈસુ જે ન્યાયી છે તેમણે
પોતે આપણા પાપને માટે પ્રાયશ્ચિત્ત કર્યું
અને નિયમના શ્રાપથી આપણને છોડાવી લીધા.

૨૭.

તે પોતે પ્રાયશ્ચિત્ત થયા જેથી
પાપની દરગુજર વિષે તે પોતાનું ઇન્સાફીપણું દર્શાવે,
કે પોતે ન્યાયી રહીને વિશ્વાસ કરનારને નિર્દોષ ઠરાવે.

૨૮.

હરેક વિશ્વાસ કરનાર તેમનાદ્વારા
નિરપરાધી ઠરે છે.

૨૯.

પ્રભુ ઈસુ બોલ્યા :

જે મારા પર વિશ્વાસ કરે છે
તે અપરાધી નહિ ઠરશે.

૩૦.

એક શ્રદ્ધાવાને કહ્યું :

પ્રભુ ઈસુના પ્રાયશ્ચિત્તદ્વારા
તેમના અનુગ્રહની સંપત્તિ પ્રમાણે
આપણને અપરાધની ક્ષમા મળે છે.

૩૧.

પ્રભુ ઈસુ જેઓ તમારે શરણે આવે છે
તેમને સંપૂર્ણ ઉદ્ધારવાને તમે સમર્થ છો.

૩૨.

જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ તો
આપણાં પાપ માફ કરવા તથા
આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને
પ્રભુ વિશ્વાસુ તથા ન્યાયી છે.

૩૩.

જો આપણે ખ્રિસ્તને પ્રભુ તરીકે કબૂલ કરીએ અને
આપણા હૃદયમાં તેમના પ્રત્યે શ્રદ્ધા રાખીએ
તો મોક્ષ પામીશું.

૩૪.

તેમણે આપણા પર પ્રેમ કર્યો અને
પોતાનાં બલિદાન વડે તેમણે
આપણને આપણા પાપથી મુક્ત કર્યા.

૩૫.

તેમના બલિદાનદ્વારા આપણને પાપની ક્ષમા મળી છે.
જેઓ ખ્રિસ્ત પ્રભુમાં છે તેમને દંડાજ્ઞા નથી.

૩૬.

હોમયજ્ઞો, અર્પણો
પાપો દૂર કરવાને કદી પણ સમર્થ નથી.

૩૭.

તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થવાથી
આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.

૩૮.

એમણે તો પાપોને માટે એક બલિદાન
સદાકાળને સારુ કર્યું છે.

૩૯.

જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેમણે
એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે.

૪૦.

ભક્તે શ્રદ્ધાળુઓને કહ્યું :

ભાઈ ઓ પ્રભુએ આપણે સારુ પોતાના શરીરમાં થઈ ને
એક નવો તથા જીવંત માર્ગ ઉઘાડયો છે.
તેમાં થઈને પવિત્રસ્થાનમાં પ્રવેશ કરીએ.

૪૧.

તેમણે આપણે અર્થે પોતાનું સ્વાર્પણ કર્યું
જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે

૪૨.

અને આપણને પવિત્ર કરીને
પોતાને સારુ ખાસ પ્રજા, તથા
સર્વ સત્કર્મ કરવાને આતુર, એવા તૈયાર કરે.

૪૩.

તેમણે પોતાને પાછા રાખ્યા નહિ
પણ આપણે સારૂ પોતાને સમર્પી દીધા,

૪૪.

તો આપણને કૃપા કરીને પોતાની સાથે
બધું કેમ મહિ ઓપે ?

૪૫.

બધાએ કહ્યું :

આપણા પરમેશ્વર પિતાને સર્વકાળ મહિમા હો,
તથાસ્તુ, તથાસ્તુ.

૪૬.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
બલિદાનયોગ નામનો દ્વાદશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (11), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

કર્મબંધન અને અનુગ્રહ

નામ

એકાદશ અધ્યાય


રસ્તે જતાં, એક જન્મથી આંધળાં માણસને
જોઈને શિષ્યોએ પૂછ્યું:

પ્રભુ, જે પાપને લીધે આ માણસ આંધળો જન્મ્યો
તે પાપ કોણે કર્યું ?
એણે પોતે અથવા એનાં માબાપે ?

૧.

પ્રભુ ઈસુ બોલ્યા :

એણે અથવા એના માબાપે પાપ કર્યું તેથી નહિ ;
પણ પરમેશ્વરનું કામ ( ચમત્કૃતિ ) એનામાં પ્રગટ થાય
તે માટે એમ થયું.

૨.

હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું.

૩.

એમ બોલીને પ્રભુ ઈસુએ કાદવ બનાવીને
આંધળાની આંખ પર ચોપડ્યો અને તે દેખતો થયો.

૪.

પ્રભુ બોલ્યા :

જે અઢાર માણસો પર બુરજ પડ્યો અને તેમને મારી નાખ્યા
તેઓ શહેરના બીજા સર્વે રહેવાસીઓ કરતાં વિશેષ ગુનેગાર હતા
એમ તમે ધારો છો શું ?
હું તમને કહું છું, કે ના.

૫.

સઘળાંએ પાપ કર્યું છે
અને ઈશ્વર આગળ સઘળાં અધૂરાં રહે છે.

૬.

મારામાં પાપ નથી એમ જો કોઈ કહે
તો તે પોતાને ઠગે છે અને તેનામાં સત્ય નથી.

૭.

આ સાંભળી એક શિષ્યે કહ્યું :

ભૂંડા કામ કરનારની વિરુદ્ધ ઈશ્વરનો ન્યાય સત્યાનુસાર છે.

૮.

જે પાપ કરે છે તે નિયમનું ઉલ્લંઘન કરનાર તરીકે
નિયમથી અપરાધી ઠરે છે.

૯.

નિયમદ્વારા પાપ વિશે જ્ઞાન થાય છે,
નિયમ વડે પાપ વિશેષ પાપિષ્ઠ દેખાય છે.

૧૦.

નિયમના સાંભળનારા ઈશ્વરની નજરમાં ન્યાયી નથી,
પણ નિયમ પાળનારા ન્યાયી ઠરે છે.

૧૧.

નિયમશાસ્ત્રમાં જે બધી આજ્ઞાઓ છે
તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.

૧૨.

તો નિયમથી ઈશ્વર આગળ કોઈ માણસ ન્યાયી ઠરતું નથી
એ સ્પષ્ટ છે.

૧૩.

આથી દરેક મોં બંધ થાય છે
અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે છે.

૧૪.

આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારક છે ;
નિયમ આધ્યાત્મિક છે ;
પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું ;

૧૫.

સારું કરવા હું ઇચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે.
મારામાં જે પાપ વસે છે તે તે કરે છે.

૧૬.

પ્રભુએ કહ્યું :

નિયમની પાછળ લાગુ રહ્યા છતાં
મનુષ્યો નિયમને પહોંચી શક્યા નહિ.

૧૭.

પોતાની પુણ્યશીલતાને સ્થાપન કરવાનો પ્રયત્ન કરીને
માણસો ઈશ્વરની પુણ્યશીલતાને આધીન થયા નહિ.

૧૮.

તેઓ શ્રદ્ધાથી નહિ પણ જાણે કે
કરણીઓથી તે પ્રાપ્ત કરવાનું શોધતા હતા.

૧૯.

ભક્તે કહ્યું :

વિધિનિષેધ અનુસારનાં કર્મોથી
કોઈ માણસ નિરપરાધી ઠરતો નથી.

૨૦.

જો કોઈ કરણીઓથી ન્યાયી ઠર્યો હોય
તો તેને વડાઈ કરવાનું કારણ છે.

૨૧.

કેમકે કામ કરનારને જે વેતન મળે છે
તે કૃપાંરૂપે ગણાતું નથી પણ હકરૂપે ગણાય છે.

૨૨.

પણ મોક્ષ કરણીઓ વડે નથી
રખે કોઈ અભિમાન કરે.

૨૩.

ત્યારે પ્રભુએ એ જાહેર કર્યું :

મારી જે કૃપા સઘળાં માણસોની મુક્તિ કરે છે
તે પ્રગટ થઈ છે.

૨૪.

આ સાંભળી ભક્તે કહ્યું :

આપણા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયા
તથા મનુષ્યો પ્રત્યેનો તેમનો પ્રેમ પ્રગટ થયાં
ત્યારે આપણે પોતે કરેલાં ધાર્મિક્તાનાં કર્મોથી નહિ
પણ તેમની દયા વડે આપણો ઉદ્ધાર કર્યો.

૨૫.

જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ( ધાર્મિક ) ઠરીને
અનં તજીવનના વારસ થયા.

૨૬.

જેઓ નિયમ પાલનથી ન્યાયી ઠરવા ચાહે છે
તેઓ કૃપાથી વિમુખ થયા છે.

૨૭.

અમે પોતે કરેલાં કર્મ પર નહિ પણ
અનુગ્રહ કરનાર પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખીએ છીએ.

૨૮.

મોક્ષ આપણા પોતાથી નથી પણ પરમેશ્વરનું દાન છે,
જેથી કોઈ મનુષ્ય પરમેશ્વરની આગળ અભિમાન કરે નહિ.

૨૯.

તો વડાઈ કરવાનું ક્યાં રહ્યું ? તેનું સ્થાન નથી.
કેમકે ઈશ્વરાનુગ્રહથી શ્રદ્ધાદ્વારા ઉદ્ધાર થાય છે.

૩૦.

જો અનુગ્રહથી થયું, તો તે કરણીઓથી થયું નથી.
નહિ તો અનુગ્રહ તે અનુગ્રહ કહેવાય જ નહિ.

૩૧.

જે માણસને પરમેશ્વર કરણીઓ વગર ન્યાયી ગણે છે
અને જેને લેખે પ્રભુ પાપ નહિ ગણે તેને ધન્ય છે.

૩૨.

ફરી પ્રભુએ કહ્યું :

તમારે વાસ્તે મારો અનુગ્રહ બસ છે.

૩૩.

ભક્ત બોલ્યા :

બહુ સાવધ રહીએ
રખે કોઈ ઈશ્વરકૃપા પામ્યા વગર રહી જાય.

૩૪.

હું પરમેશ્વરના અનુગ્રહને નિષ્ફળ કરવા ઇચ્છતો નથી.

૩૫.

આપણી કરણીઓ પ્રમાણે નહિ પણ
પોતાની જ કૃપા પ્રમાણે પ્રભુએ આપણને તાર્યા.

૩૬.

તે વરદાન કૃપાદ્વારા થાય માટે
તે વરદાન વિશ્વાસથી પ્રાપ્ત થાય છે.

૩૭.

એ કૃપામાં આપણે વિશ્વાસથી પ્રવેશ પામીએ છીએ.
આત્માની મુક્તિ એ વિશ્વાસનું ફળ છે.

૩૮.

પ્રભુ ઈસુ અનુગ્રહથી ભરપૂર છે
અને આપણ સર્વે તેમની ભરપૂરીમાંથી
અનુગ્રહ પર અનુગ્રહ પામ્યા છીએ.

૩૯.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
કર્મબંધન અને અનુગ્રહ નામનો એકાદશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (10), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

મુક્તિ

નામ

દશમ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

એ જ માટે હું જન્મ્યો છું
અને એ જ માટે હું જગતમાં આવ્યો છું, કે
સત્ય વિશે સાક્ષી આપું.

૧.

સત્ય હું છું ;
જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે.

૨.

તમે સત્યને જાણશો અને
સત્ય તમને મુક્ત કરશે.

૩.

કેટલાક લોકોએ કહ્યું :

અમે કદી કોઇના દાસત્વમાં આવ્યા નથી
તો એમ કેમ કહો છો કે તમને મુક્ત કરવામાં આવશે ?

૪.

પ્રભુ ઈસુએ ઉત્તર આપ્યો :

માણસને જે કંઈ જીતે છે
તે જ તેને પોતાનો દાસ કરી લે છે.

૫.

જે પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે.
જેને અજ્ઞાધીન થવાને તમે પોતાને સોંપો છો.
તેના દાસ તમે છો.
જો હું તમને મુક્ત કરીશ તો તમે ખરેખર મુક્ત થશો.

૬.

નિયમભંગ એ પાપ છે, સર્વ અન્યાય પાપ છે.
જે ભલું કરી જાણે છે પણ કરતો નથી તેને પાપ લાગે છે.
જે સર્વ વિશ્વાસથી નથી તે પાપ છે.

૭.

હરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઇને
તથા લલચાઈને પ્રલોભનમાં પડે છે.

૮.

પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે,
અને પાપ પરિપક્વ થઇને મૃત્યુ ઉપજાવે છે.

૯.

લોકોને તેમનાં પાપથી મુક્ત કરનાર હું છું.

૧૦.

હું તેમનાં મનમાં પશ્ચાત્તાપ કરાવું છું
અને તેમને પાપની ક્ષમા આપું છું,
કે હવે પછી તેઓ પાપની ગુલામીમાં ન રહે.

૧૧.

ભક્ત બોલ્યા :

પ્રભુમાં આપણને ઉદ્ધાર એટલે પાપની ક્ષમા છે.
પ્રભુ ઈસુએ અંધકારની સત્તામાંથી આપણને છોડાવ્યા
અને પોનાના રાજ્યમાં આણ્યા.

૧૨.

બાળકો માંસ તથા રુધિરનાં બનેલાં છે
માટે પ્રભુ ઈસુ પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા

૧૩.

કે પોતે મરણને જીતીને
મૃત્યુની બીકથી જેઓ જીવનપર્યંત દાસત્વમાં હતા
તેમને મુક્ત કરે.

૧૪.

પ્રભુ ઈસુ બોલ્યા :

હું તેઓને અનંતજીવન આપું છું, અને
કદી તેઓનો નાશ થશે નહિ, અને
મારા હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહિ.

૧૫.

ભક્તે કહ્યું :

પ્રભુ ઈસુ આપણને આ ભૂંડા સંસારથી છોડાવે છે.

૧૬.

જેથી સંસારની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે
તેથી મુક્ત થઈને
આપણે ઈશ્વરી સ્વભાવના ભાગીદાર થઈ એ.

૧૭.

પ્રભુ આત્મા છે અને
જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે,
પ્રભુએ આપણને સ્વતંત્રતાને અર્યે સ્વતંત્ર કર્યા, માટે
દઢ રહીએ અને ફરીથી દાસત્વની ઝૂંસરી તળે ન જોડાઈ એ.

૧૯.

પાપથી મુક્ત થયેલા અને પ્રભુના દાસ થયેલા હોવાથી
અમે પવિત્ર થઈ એ છીએ
અને પરિણામે અમને અનંતજીવન મળે છે.

૨૦.

પ્રભુએ શિષ્યોને કહ્યું :

હવેથી તું દાસ નથી પણ પુત્ર છે
અને જો તું પુત્ર છે તો વારસ પણ છે.

૨૧.

ભક્તે કહ્યું :

પ્રભુએ આપણને છોડાવી લીધા કે
આપણે તેમના પુત્ર તરીકે ગણાઈ એ.

૨૨.

ફરી પ્રભુએ શિષ્યોને કહ્યું :

તમે મને પ્રિય છો, કેમકે આત્માની વિશુદ્ધિદ્વારા
તથા સત્ય પરની શ્રદ્ધાદ્વારા
મોક્ષને અર્થે મેં તમને આરંભથી પસંદ કર્યા છે.

૨૩.

તમે મને અનુસરો, તમે મારી સાથે રહો,
માટે મેં તમને નિમ્યા છે.

૨૪.

તમારે માટે મેં ઠરાવ્યું છે કે
મારી પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય.

૨૫.

તમને હું મારી પાસે લઈ જઈશ
જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો.

૨૬.

એક જણે પૂછ્યું :

પ્રભુ મુક્તિ પામનારા થોડા છે શું ?

૨૭.

પ્રભુ ઈસુએ ઉત્તર આપ્યો :

સાંકડા દ્વારમાં થઈને પેસવાને યત્ન કરો કેમકે
ઘણા પેસવા ચાહશે પણ પેસી શકશે નહિ.

૨૮.

જે માર્ગ વિનાશમાં પહોંચાડે છે તે પહોળો છે
અને તેનું દ્વાર પહોળું છે
અને ઘણાં માણસો તેમાં થઈને પેસે છે.

૨૯.

પણ જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે,
અને તેનું દ્વાર સાંકડું છે
અને જેઓને તે જડે છે તેઓ થોડા છે.

૩૦.

હું દ્વાર છું ;
મારા દ્વારા જો કોઈ પેસે તો તેનો ઉદ્ધાર થશે.

૩૧.

જેઓ ઈશ્વરની પ્રશંસા કરતાં માણસની પ્રશંસા વધારે ચાહતા હતા
તેઓએ પ્રભુતે કબૂલ ન કર્યા,

૩૨.

તેથી પ્રભુએ કહ્યું :

જેઓ એક બીજાથી માન પામે છે
પણ જે માન એકલા ઈશ્વર તરફથી છે તે શોધતા નથી
તે વિશ્વાસ શી રીતે કરી શકે ?

૩૩.

જુલમથી દાણ લેનારા અને કસબણો
ધર્મચુસ્તોની અગાઉ ઈશ્વરીરીજ્યમાં જાય છે
કેમકે તેમણે વિશ્વાસ કર્યો ;

૩૪.

પણ ધર્મચુસ્તો અને પંડિતોએ
પોતાને વાસ્તે પરમેશ્વરનો જે ઇરાદો હતો તે નિરર્થક કર્યો.

૩૫.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
મુક્તિ નામનો દશમ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (9), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

પ્રાકૃતિક અને આધ્યાન્મિક

નામ

નવમ અધ્યાય


પ્રભુએ કહ્યું :

સારું ઝાડ નઠારાં ફળ આપી શકતું નથી,
ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી.

૧.

સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે,
નઠારું માણસ નઠારા ભંડારામાંથી નઠારું કાઢે છે.

૨.

ભૂંડી કલ્પના, હત્યા, વ્યભિચાર, જુઠાણું, નિંદા
હૃદયમાંથી નીકળે છે ;
માણસને વટાળે તે એ જ છે.

૩.

તમે પોતાને માણસો આગળ ન્યાયી દેખાડો છો ;
પણ ઈશ્વર તમારાં અંત:કરણ જાણે છે.

૪.

તમે થાળી વાટકો બહારથી રુદ્ધ કરો છો ;
પણ તમારું અંતર જુલમે તથા ભૂંડાઇએ ભરેલું છે.

૫.

માંહેની વસ્તુઓ દાનધર્મમાં આપો ;
અને જુઓ, બધું તમને શુદ્ધ છે.

૬.

માણસ જે વાવે તે જ તે લણશે.
જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે ;
જે આત્માને અર્થે વાવે તે આત્માથી શાશ્વત જીવન લણશે.

૭.

દૈહિક ભાવ ઈશ્વર પર વેર છે,
દૈહિક ભાવ મૃત્યુ છે.
આધ્યાત્મિક ભાવ જીવન તથા શાંતિ છે

૮.

દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે
અને આત્મા દેહની વિરુદ્ધ,
કેમકે તેઓ પરસ્પર વિરુદ્ધ છે.

૯.

આ સાંભળી એક શિષ્યે કહ્યું :

હું જાણું છું કે દેહમાં કંઇ જ સારું વસતું નથી,
કેમકે જે સારું હું ઇચ્છું છું તે હું કરતો નથી
પણ જે ભૂંડું હું ઇચ્છતો નથી તે હું કર્યા કરું છું.

૧૦.

હું અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું
જે મનના નિયમની સામે લડે છે,
અને અવયવોમાં રહેલા પાપના નિયમનાં બંધનમાં લાવો છે.

૧૧.

કેવો હું દુર્ભાગી !
આ મરણના શરીરથી કોણ મુક્ત કરશો ?

૧૨.

પ્રભુ ઈસુ બોલ્યા :

જે દેહથી જન્મેલ છે તે દેહ છે
જે આત્માથી જન્મેલ છે તે આત્મા છે.

૧૩.

હું નિશ્ચયપૂર્વક કહું છું કે
જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય
તો તે ઈશ્વરી રાજ્ય જોઈ શકતો નથી.

૧૪.

જો કોઈ માણસ આત્માથીં જન્મ્યો ન હોય
તો તે ઈશ્વરી રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી.

૧૫.

જેટલા મારો અંગીકાર કરે છે
એટલે જેટલા મારા નામ પર વિશ્વાસ કરે છે
તેટલાને મેં ઈશ્વરપુત્રો થવાનો અધિકાર આપ્યો છે.

૧૬.

તેઓ દેહની ઇચ્છાથી નહિ
કે મનુષ્યની ઇચ્છાથી નહિ
પણ ઈશ્વરથી જન્મ પામ્યા છે.

૧૭.

વિનાશી બીજથી નહિ પણ અવિનાશીથી
તેઓને પુનર્જન્મ આપવામાં આવ્યો છે.

૧૮.

ત્યારે અતિ હર્ષથી ભક્તે કહ્યું :

આપણા આત્માની સાથે પ્રભુનો આત્મા સાક્ષી આપે છે કે
આપણે ઈશ્વરપુત્રો છીએ.
આપણને દત્તકપુત્રપણાનો આત્મા મળ્યો છે
જેથી ‘ પ્રભુ પિતા ’ કહીને આપણે પોકારીએ છીએ.

૧૯.

અવિનાશી, નિર્મળ તથા ન કરમાનાર વતનને માટે આપણને
પુનર્જન્મ આપ્યો છે.

૨૦.

પ્રભુએ કહ્યું :

જેટલા મારા આત્માથી દોરાય છે તેટલા ઈશ્વરપુત્રો છે.
આત્માથી ચાલો એટલે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.

૨૧.

ભક્તે કહ્યું :

પ્રભુ આપણામાં વસે છે
તેથી દેહવાસના મરેલી છે પણ આત્મા જીવે છે.

૨૨.

પ્રભુનો આત્મા આપણામાં વસે છે
તો તેથી આપણે દૈહિક નથી પણ આધ્યાત્મિક છીએ.
આપણે દેહ પ્રમાણે નહિ પણ
આત્મા પ્રમાણે ચાલીએ છીએ.

૨૩.

પ્રભુના જીવનના આત્માના નિયમે
મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.

૨૪.

ત્યારે પ્રભુએ કહ્યું :

જે કોઈ ઈશ્વરથી જન્મેલો (દ્વિજ) છે તે પાપ કરતો નથી,
કેમકે ઈશ્વરનું બીજ તેનામાં રહે છે.

૨૫.

તે પાપ કરી શકતો નથી
કેમકે તે ઈશ્વરથી જન્મેલો છે.

૨૬.

તેણે જૂના માનવત્વને તેનાં કર્મોસહિત ઉતારી નાખ્યું છે,
અને તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે
જે નવું કરાતું જાય છે
તે નવા માનવત્વને ધારણ કર્યું છે.

૨૯.

મનોવૃત્તિમાં નવા થવાથી
મનથી નવીનતાને યોગે
તે પૂર્ણ રીતે રૂપાંતર પામ્યો છે.

૨૮.

ઉપરની વ તો પર ચિત્ત લગાડો
પૃથ્વી પરની વાતો પર નહિ.

૨૯.

શિષ્યોએ કહ્યું :

જે જૂનું તે જતું રહ્યું છે ;
જુઓ, તે નવું થયું છે.

૩૦.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
પ્રાકૃતિક અને આધ્યાત્મિક નામનો નવમ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next