Wednesday, March 29, 2006

Hriday Gita (19), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

વિભૂતિયોગ

નામ

એકોનવિંશ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

આદિ મધ્ય તથા અંત હું છું.
મારાથી સઘળું ઉત્પન્ન થયું,
મેં સર્વ જગતો ઉત્પન્ન કર્યાં ;
જે કાંઈ થયું છે તે મારા વિના ઉત્પન્ન થયું નથી.

૧.

હું સર્વ સૃષ્ટિનું આદિકરણ છું ;
મારાથી, મારા વડે તથા મારે અર્થે સર્વસ્વ છે.

૨.

ભક્તે કહ્યું :

ઓ પ્રભુ, આકાશો તમારા હાથની કૃતિ છે
આરંભમાં તમે પૃથ્વીનો પાયો નાખ્યો.

૩.

વસ્ત્રની પેઠે તેઓને બદલવામાં આવશે
પરંતુ તમે એવા ને એવા જ છો.
તમારા વરસોનો અંત કદી આવશે નહિ.

૪.

પ્રભુએ કહ્યું :

હું સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છું ;
પોતાના પરાક્રમના શબ્દથી હું સઘળાને નિભાવી રાખું છું ;
જીવન તથા શ્વાસોચ્છવાસ હું સર્વને આપું છું.

૫.

હું સત્ય તથા જીવન છું,
કોઈનાથી હું વેગળો નથી,
કેમકે મારામાં સર્વ જીવે છે,
હલનચલન કરે છે અને અસ્તિત્વ ધરાવે છે.

૬.

શ્રદ્ધાવાને કહ્યું :

પ્રભુ, તમારાથી સર્વ છે અને અમે તમારે અર્થે છીએ.
તમારે આશરે સર્વ છે, અને અમે તમારે આશરે છીએ.

૭.

પોતાની ઇચ્છાના સંકલ્પ પ્રમાણે તમે સર્વ કરો છો.
તમારા સંકલ્પને કોણ અટકાવે છે ?

૮.

જે સર્વથી સર્વને ભરે છે તે તમે છો.
તમે ‘ ઈમાનૂએલ ’ એટલે અમારી સાથે રહેનાર ઈશ્વર છો.

૯.

પ્રભુએ કહ્યું :

મારી દષ્ટિથી કોઈ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી.
હું હૃદયના વિચારને તથા ભાવનાઓને પારખનાર છું.
મન તથા અંત:કરણને પારખનાર હું છું.

૧૦.

જે હતો, જે છે અને જે આવનાર છે.
હું ગઈ કાલે, આજે તથા સદાકાળ એવો તે એવો છું.

૧૧.

હું આદ્યાક્ષર તથા અંત્યાક્ષર છું.
હું પહેલો તથા છેલ્લો, આદિ તથા અંત છું.

૧૨.

મારામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહેલી છે,
મારામાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે.

૧૩.

જ્ઞાન, પુણ્ય, પવિત્રતા અને ઉદ્ધાર હું છું.
જે પવિત્ર છે, જે સત્ય છે, જે તથાસ્તુ છે, જે વિશ્વસનીય છે,
તે હું છું.

૧૪.

શ્રદ્ધાવાન બોલ્યા :

હે પ્રભુ, તમારા અદશ્ય ગુણો, સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ
સર્જેલી વસ્તુના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે.

૧૫.

પ્રભુ બોલ્યા :

જે આકાશમાં છે તથા જે પૃથ્વીમાં છે,
જે દશ્ય તથા અદશ્ય છે,
રાજ્યાસનો કે રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ,
સર્વ મારી મારફતે તથા મારે સારુ ઉત્પન્ન થયાં.

૧૬.

હું સર્વ કરતાં આદિ છે.
મારાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે.

૧૭.

એક ભક્તે ઉચ્ચ સ્વરે કહ્યું :

દેવદૂતો સર્વ તમારું ભજન કરે છે.
તમે પોતાના દૂતોને વાયુરૂપ અને
પોતાના સેવકોને અગ્નિજ્વાળારૂપ કરો છો.

૧૮.

પ્રભુએ કહ્યું :

સ્વર્ગ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મારો છે.

૧૯.

મૃત્યુ તથા અધોલોકની કૂંચીઓ મારી પાસે છે.
હું ઉઘાડું છું અને કોઈ બંધ કરશે નહિ ;
હું બંધ કરું છું અને કોઈ ઉઘાડતો નથી.

૨૦.

હું રાજ્યનું તથા અધિકારનું શિર છું.
મારા સામર્થ્યથી હું સર્વને મારે આધીન કરી શકું છું.

૨૧.

ત્યારે એક શ્રદ્ધાવાને કહ્યું :

તમે સર્વમાં શ્રેષ્ઠ છો.

૨૨.

હે ઈશ્વર, તમારું રાજ્ય સનાતન છે
અને તમારો રાજદંડ ન્યાયીપણાનો રાજદંડ છે.

૨૩.

તમે ધન્ય તથા એકલા સ્વામી,
રાજાઓના રાજા અને સ્વામીઓના સ્વામી છો.

૨૪.

જે સર્વકાળ રાજ્ય કરનાર છો,
અને જેના રાજ્યનો અંત આવશે નહિ.

૨૫.

રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારાં જ છે.

૨૬.

આકાશમાંના, ભૂમિ ઉપરનાં તથા ભૂમિ તળેનાં સર્વ
તમારે નામે સાષ્ટાંગે પડીને નમન કરશે,
અને દરેક જીભ કબૂલ કરશે કે તમે જ સ્વામી છો.

૨૭.

પ્રભુ બોલ્યા :

હું અગમનીય પ્રકાશમાં રહું છું,
હું સ્વયં પ્રકાશ અને પ્રકાશોનો જનક છું,

૨૮.

જેણે અંધકારમાંથી તેજને પ્રકાશવા ફરમાવ્યું અને
માનવીઓના હૃદયમાં પ્રકાશ પાડયો છે.

૨૯.

માર્ગ, સત્ય તથા જીવન હું છું.
શાશ્વત જીવન હું છું, મારા એકલાને અમરપણું છે.
મેં જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે.

૩૦.

જે જીવનની રોટલી સ્વર્ગથી ઊતરી છે તે હું છું ;
જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે.

૩૧.

જે જલ હું આપીશ તે જે પીએ
તેને કદી તૃષા નહિ લાગશે.

૩૨.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
વિભૂતિયોગ નામનો એકોનવિંશ અધ્યાય સમાપ્ત.


(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment