Saturday, March 25, 2006

Hriday Gita (8), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

રાજયોગ

નામ

અષ્ટમ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર
સ્વર્ગીય રાજ્ય સ્થાપન થાઓ.

૧.

સમય પૂરો થયો છે સ્વર્ગીય રાજ્ય નજીક છે :
પશ્ચાત્તાપ કરો અને મારામાં શ્રદ્ધા લાવો.

૨.

લોકોએ પૂછ્યું :

ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે ?

પ્રભુ ઈસુએ ઉત્તર દીધો.

ઈશ્વરી રાજ્ય દસ્ય રીતે નથી આવતું ;

૩.

એમ નહિ કહેવામાં આવે કે
જુઓ, તે આ કહ્યું, કે પેલું રહ્યું.

૪.

કેમકે, ઈશ્વરી રાજ્ય તમારી મધ્યે છે,
ઈશ્વરી રાજ્ય તમારામાં છે.

૫.

એક બાળકને બોલાવીને શિષ્યોની વચ્ચે ઊભું રાખ્યું,

૬.

અને

પ્રભુ ઈસુ બોલ્યા :

જો તમારું પરિવર્તન નહિ થાય
અને તમે બાળકના જેવા નહિ થાઓ,
તો સ્વર્ગીય રાજ્યમાં તમે પ્રવેશ કરી શકશો નહિ.

૭.

જે કોઈ બાળકની પેઠે ઈશ્વરી રાજ્ય સ્વીકારશે નહિ
તે તેમાં પ્રવેશ કરશે જ નહિ.

૮.

જે કોઈ પોતાને આ બાળક જેવું દીન કરશે
તે જ સ્વર્ગીય રાજ્યમાં સૌથી મોટું છે.

૯.

આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે
કેમકે સ્વર્ગીય રાજ્ય તેઓનું છે.

૧૦.

ઈશ્વરી રાજ્ય નીતિપરાયણતા, શાંતિ અને
પવિત્રાત્માદ્વારા આનંદ એમાં સમાયેલું છે.

૧૧.

તમે પહેલાં ઈશ્વરી રાજ્ય તથા તેની નીતિમયતા શોઘો અને
બીજાં બધાં વાનાં પણ તમને આપવામાં આવશે.

૧૨.

ઈશ્વરી રાજ્ય એવું છે કે
જાણે કોઈ માણસ ભોંયમાં બી વાવે
રાત દહાડો ઊંઘે તથા જાગે
અને તે બી ઊગે તથા વધે ;
પણ તે શી રીતે થાય છે તે તે માણસ જાણતો નથી.

૧૩.

ભોંય તો પોતાની મેળે ફળ આપે છે,
પહેલાં અંકુર, પછી કણસલું
પછી કણસલામાં પૂરા દાણા.

૧૪.

અશુદ્ધ, દુરાચારી અને દ્રવ્ય લોભીને
ઈશ્વરી રાજ્યાં કંઈ ભાગ નથી.

૧૫.

શ્રીમંતને સ્વર્ગીય રાજ્યમાં પેસવા કરતાં
ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલ છે.

૧૬.

સ્વર્ગીય રાજ્ય સારા મોતીની શોધ કરનાર એક
વેપારીના જેવું છે.

૧૭.

તે વેપારીને એક અતિ મૂલ્યવાન મોતીની શોધ લાગી ત્યારે
જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખ્યું અને
તે મોતી વેચાતું લીધું.

૧૮.

જેઓ રાજકર્તા કહેવાય છે તેઓ લોકો પર ધણીપણું કરે છે,
અને જેઓ મોટા હોય છે તેઓ લોકો પર અધિકાર ચલાવે છે
પણ આપણામાં એમ નથી.

૧૯.

જો કોઈ પહેલો થવા ચાહે
તો તે સૌથી છેલ્લો અને સૌનો સેવક થાય.
તમ સર્વમાં જે નાનો છે તેજ મોટો છે.

૨૦.

હું રાજા છું, પણ
મારું રાજ્ય આ સંસારનું નથી.

૨૧.

જે મોટે થવા ચાહે તે તમ સૌનો સેવક થાય
અને પ્રથમ થવા ચાહે તે સૌનો દાસ થાય.

૨૨.

જેમ હું પણ સેવા કરાવવાને નહિ પણ
સેવા કરવાને આવ્યો છું તેમ.

૨૩.

શિષ્યો જમવા બેઠા ત્યારે પ્રભુ ઈસુ પોતે જમણ પરથી ઊઠે છે.
અને પોતાનાં કપડાં ઉતારીને તેમણે રૂમાલ લઈને કમરે બાંધ્યો.

૨૪.

પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોયા તથા
કમરે બાંધેલા રૂમાલથી લૂછવા લાગ્યા.

૨૫.

આ પછી પ્રભુએ કહ્યું :

જો મેં પ્રભુએ તથા ગુરુએ તમારા પગ ધોયા
તો તમારે પણ એક બીજાના પગ ધોવા જોઈએ.

૨૬.

જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો
માટે મેં તમને નમૂનો આપ્યો છે.

૨૭.

તમારામાં જે મોટો હોય તેણે નાના જેવું થવું
અને જે આગેવાન હોય તેણે સેવા કરનાર જેવા થવું.

૨૮.

હું તમારામાં સેવા કરનાર જેવો છું.
તમે સઘળા એક બીજાની સેવા કરવા સારુ
નમ્રતા ધારણ કરો.

૨૯.

દરેક નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણાવા.
માન આપવામાં પોતા કરતાં બીજાને અધિક ગણો.

૩૦.

મેં તમને રાજ્ય ઠરાવી આપ્યું છે,
તમે સ્વર્ગીય રાજ્યની પ્રજા છો.
તમે પસંદ કરેલી જાતિ, પવિત્ર પ્રજા તથા
પ્રભુના ખાસ લોક છો.

૩૧.

જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે,
તે બધા સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશ કરશે એમ નથી, પણ
જે મારી ઈચ્છા પ્રમાણે કરે છે તે પ્રવેશ કરશે.

૩૨.

ઘણા સંકટમાં થઈને સ્વર્ગીય રાજ્યમાં જવું પડે છે.
જે ઈશ્વરીય રાજ્યને સારુ દુ:ખ વેઠો છો
તે રાજ્યમાં પ્રવેશ પામવાને યોગ્ય ગણાઓ છો.

૩૩.

ધર્મપરાયણતાને કારણે જેઓને સતાવવામાં આવે છે
તેઓને ધન્ય છે,
સ્વર્ગીય રાજ્ય તેઓનું છે.

૩૪.

તમે તમારા વેરીઓ ઉપર પ્રીતિ કરો,
જેઓ તમારી પાછળ પડે છે તેઓને સારુ પ્રાર્થન કરો.

૩૫.

જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો,
જેઓ તમને શ્રાપ દે છે તેઓને આશીર્વાદ દો,

૩૬.

જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારુ પ્રાર્થના કરો,
જેથી તમે સ્વર્ગીય પિતાના સંતાન થાઓ.

૩૭.

કારણ કે તે પોતાના સૂર્યને ભૂંડા તેમ જ ભલા પર ઉગાવે છે.
એને ધાર્મિક તેમ જ અધાર્મિક પર વરસાદ વરસાવે છે.

૩૮.

માટે જેવા સ્વર્ગીય પિતા દયાળુ છે
તેવા તમે દયાળુ થાઓ.

૩૯.

ભૂંડા માણસની સામા ન થાઓ.
જે કોઈ તને એક ગાલ પર તમાચો મારે
તેની આગળ બીજો પણ ધર.

૪૦.

જે તારું પહેરણ લેવા દાવો કરે
તેને તારો ડગલો પણ લેવા દે.

૪૧.

જે કોઈ તારી પાસે માગે છે તેને આપ,
અને તારી કને જે ઉછીનું લેવા ચાહે છે
તેનાથી મોં ન ફેરવ.

૪૨.

જેની પાસે બે ડગલા હોય તે
જેની પાસે એકે નથી તેને એક આપે ;
જેની પાસે ખોરાક હોય તે પણ એમ કરે.

૪૩.

જેમ તમે ચાહો કે લોકો તમારા પ્રત્યે વર્તે
તેમજ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.

૪૪.

કોઈની નિંદા ન કરવી,
નમ્ર રહીને સર્વ માણસ સાથે પૂરેપૂરા વિનયથી વર્તવું.

૪૫.

આનંદ કરનારાઓ સાથે આનંદ કરો,
રડનારાઓની સાથે રડો.

૪૬.

કોઈનો ઇન્સાફ ન કરો એટલે તમારો ઈન્સાફ નહિ કરાશે.
કોઈને દોષિત ન ઠરાવો અને તમને કોઈ દોષિત નહિ ઠરાવશે.
ક્ષમા કરો અને તમને ક્ષમા કરવામાં આવશે.

૪૭.

જો તારો ભાઈ એક દહાડામાં સાતવાર તારો અપરાધ કરે
અને સાતવાર કહે કે હું પસ્તાઉં છું ;
તો તેને માફ કર.

૪૮.

જો તમે માણસોના અપરાધ તમારા ખરા દિલથી માફ નહિ કરો
તો તમારા અપરાધ પણ તમને માફ નહિ થશે.

૪૯.

જેટલા તરવાર પકડે છે
તેઓ સર્વ તરવારથી નાશ પામશે.

૫૦.

સલાહ કરાવનારાઓને ધન્ય છે :
તેઓ ઈશ્વરના પુત્રો કહેવાશે.

૫૧.

જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે :
તેઓ પૃથ્વીનું વતવ પામશે.

૫૨.

આ સર્વ સાંભળી શિષ્યો ઉચ્ચ સ્વરે બોલ્યા :

પરમઉચ્ચસ્થાને પ્રભુને મહિમા,
પૃથ્વી પર શાંતિ, માનવીઓમાં શુભેચ્છા.

૫૩.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
રાજયોગ નામે અષ્ટમ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment