Wednesday, March 29, 2006

Hriday Gita (13), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

પરમપુરુષયોગ

નામ

ત્રયોદશ અધ્યાય


પ્રભુએ કહ્યું :

પહેલું પ્રાણિક
અને પછી અધ્યાત્મિક.

૧.

પહેલો પુરુષ પૃથ્વીમાંથી પૃતિકાનો છે ;
બીજો પુરુષ સ્વર્ગથી પ્રભુ છે.

૨.

જેવો પ્રથમ પુરુષ મૃતિકાનો છે,
તેવા જ જેઓ મૃતિકાના છે તેઓ છે.

૩.

જેવો સ્વર્ગીય પુરુષ હું છું
તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે.

૪.

ભક્તે કહ્યું :

પ્રથમ આદિ પિતામહ સજીવ પ્રાણી થયા,
અંતિમ પરમપુરુષ પ્રભુ ખ્રિસ્ત જીવન પ્રદાયક આત્મા થયા.

૫.

આદિ પિતામહથી જગતમાં પાપ પેઠું
અને પાપથી મૃત્યુ.

૬.

સઘળાંએ પાપ કર્યું
તેથી સઘળાં માણસમાં મૃત્યુતો પ્રસાર થયો.

૭.

એ આદિપિતામહ પરમપુરુષના પ્રતીકરૂપ હતા.

૮.

આદિપિતાથી પાપને લીધે મૃત્યુએ રાજ કર્યું ;

૯.

તેમ પરમપુરુષથી જેઓ કૃપા અને ન્યાયીપણાનું દાન પામે છે
તેઓ શાશ્વત જીવનમાં રાજ કરશે.

૧૦.

જે જૈતુન વૃક્ષ કુદરતથી જંગલી હતું
તેમાંથી આપણને કાપી કાઢવામાં આવ્યા,

૧૧.

અને સારા જૈતુન વૃક્ષમાં કલમરૂપે મેળવવામાં આવ્યા ;
અને આપણે સારા જૈતુનની રસભરી જડના સહભાગી થયા.

૧૨.

આપણે ખ્રિસ્ત પ્રભુના ભાગીદાર થયા છીએ.
આપણે પ્રભુના શરીરના અવયવો છીએ.

૧૩.

પ્રભુ ઈસુ બોલ્યા :

હું તેમને જીવન આપું છું.
તેઓ મારામાં રહે છે અને હું તેમનામાં રહું છું.

૧૪.

ભક્તે કહ્યું :

આપણે પાપમાં તથા અપરાધોમાં મૃત હતા ત્યારે
પ્રભુએ પોતાની સંગતમાં આપણને સજીવન કર્યા.

૧૫.

આપણે પાપના સંબંધમાં મૃત
પરંતુ પ્રભુના સંબંધમાં જીવંત છીએ.

૧૬.

ખ્રિસ્ત પ્રભુ આપણામાં છે તો
( શરીર વાસનાઓ મૃત છે, પણ )
આત્મા જીવંત છે.

૧૭.

પ્રભુ પ્રત્યે જીવવાને હું મૂઓ.
હવેથી હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે.

૧૮.

પ્રભુને ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ
જેથી પ્રભુનું જીવન અમારા મર્ત્ય દેહમાં પ્રગટ કરવામાં આવે.

૧૯.

આપણે જેમ પ્રભુને સ્વીકાર્યા છે તેમ
પ્રભુની સાથે જીવંત એકતામાં રહીએ

૨૦.

ખ્રિસ્ત પ્રભુ આપણું જીવન છે.
આપણું જીવન પ્રભુમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે.

૨૧.

આપણને પ્રભુમાં ઉત્પન્ન કરવામાં આવ્યા છે.
આપણે પ્રભુના સ્વભાવના ભાગીદાર છીએ.

૨૨.

આપણે પ્રભુની પ્રતિમા તથા
પ્રભુનો મહિમા છીએ.

૨૩.

પ્રભુ આપણે સારુ જ્ઞાન, પુણ્ય,
પવિત્રતા અને ઉદ્ધાર થયા છે.

૨૪.

હું જે છું તે પ્રભુની કૃપાથી છું ;
તેમની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી.

૨૫.

પ્રભુમાં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા પૂર્તિમાન છે, અને
આપણે તેમનામાં સંપૂર્ણ થયા છીએ.

૨૬.

પ્રભુએ કહ્યું :

હું તમારામાં મહિમાવાન થયો છું.
મારો મહિમા મેં તમને આપ્યો છે.

૨૭.

ભક્તે કહ્યું :

પ્રભુ ઈસુનું નામ આપણામાં મહિમાવાન થાય ;
અને આપણે તેમનામાં મહિમાવાન થઈ એ.

૨૮.

ખ્રિસ્ત પ્રભુ આપણામાં
એ આપણા મહિમાની આશા છે.

૨૯.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં
પરમપુરુષયોગ નામનો ત્રયોદશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment