Wednesday, March 29, 2006

Hriday Gita (14), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

સમર્પણયોગ

નામ

ચતુર્દશ અધ્યાય


એક શાસ્ત્રીએ પ્રભુ ઈસુની પાસે આવીને કહ્યું :

જ્યાં કંઈ તમે જશો ત્યાં
હું તમારી પાછળ આવીશ.

૧.

પ્રભુ ઈસુ બોલ્યા :

શિયાળને બોડ હોય છે અને
પક્ષીઓને માળા હોય છે
પણ મારે માથું મૂક્વાને ઠામ નથી.

૨.

એક ધનવાન જુવાને તેમની પાસે આવીને પૂછ્યું :
અનંતજીવનનો વારસો પામવાને હું શું કરું ?

૩.

પ્રભુએ તેને કહ્યું :

તું એક વાત સંબંધી અધૂરો છે ;
તારું જે છે તે બધું વેચી નાખ
અને દરિદ્રીઓને આપી દે
અને પછી મારી પાછળ ચાલ.

૪.

જો કોઈ માણસ આખી દુનિયા મેળવીને
પોતાના આત્માની હાનિ પામે તો તેને શો લાભ ?

૫.

જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી
તે મારો શિષ્ય થઈ શકતો નથી.

૬.

મારાં કરતાં જે બાપ અથવા મા પર
વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી.

૭.

મારા કરતાં જે દીકરાદીકરી પર
વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી.

૮.

શિષ્યે કહ્યું :

જુઓ, અમે પોતાનું સર્વસ્વ મૂકીને
તમારી પાછળ આવ્યા છીએ.

૯.

પ્રભુ ઈસુ બોલ્યા :

જો કોઈ મારી પાછળ આવવા ચારે તો
તેણે સ્વનકાર કરવો અને
દરરોજ પોતાની શૂળી ( વધસ્તંભ ) ઊંચકીને
મારી પાછળ ચાલવું.

૧૦.

જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે
તે તેને ખોશે ;
પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે
તે પોતાનો જીવ બચાવશે

૧૧.

જે વાવીએ છીએ તે જો મરે નહિ
તો તે સજીવન પણ થાય નહિ.

૧૨.

જો ઘઉંનો દાણો ભોંયમાં પડીને મરી નહિ જાય
તો તે એકલો રહે છે,
પણ જો તે મરી જાય તો તે ઘણાં ફળ આપે છે.

૧૩.

જે કોઈ પોતાના જીવ પર પ્રીતિ રાખે છે
તે તેને ખુએ છે,
અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે
તે અનંત જીવનને સારુ તેને બચાવી રાખે છે.

૧૪.

એક શિષ્યે કહ્યું :

પ્રભુ વધતા જાય, પણ હું ઘટતો જાઉં
એ આવશ્યક છે.

૧૫.

જે વાનાં મને લાભકારક હતાં
તે મેં પ્રભુને ખાતર ખોટરૂપ ગણ્યાં.

૧૬.

એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું અને
તેઓને કચરું જ ગણું છું,
કે જેથી હું ખ્રિસ્ત પ્રભુને પામું.

૧૭.

હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ દરકાર કરતો નથી,
એ માટે કે જે સેવા કરવાની પ્રભુ પાસેથી મને મળી છે
તે સેના હું પૂર્ણ કરું.

૧૮.

શરતમાં દોડનાર સર્વે ઇનામ મેળવવા દોડે છે,
તો પણ એકને જ ઇનામ મળે છે.

૧૯.

આપણે સારુ ઠરાવેલી દોડમાં ધીરજથી દોડીએ ;
એમ દોડીએ કે આપણને ઇનામ મળે.

૨૦.

ઈશ્વરપરાયણતાની કસરત કરીએ.

૨૧.

શારીરિક કસરત થોડી જ ઉપયોગી છે
પણ ઈશ્વરપરાયણતા સર્વ રીતે ઉપયોગી છે.

૨૨.

કારણ કે હાલના જીવનનાં તથા
આ પછીનાં જીવનનાં વરદાન તેમાં સમાયેલાં છે.

૨૩.

યુદ્ધમાં જનાર કોઈ સૈનિક
સાંસારિક કામકાજમાં ગુંથાતો નથી.

૨૪.

સઘળી વસ્તુઓ ઉચિત છે, પણ સઘળી ઉપયોગી નથી.
સઘળી વસ્તુઓ ઉચિત છે, પણ સઘળી ઉન્નતિકારક નથી.

૨૫.

સઘળી વસ્તુની મને છૂટ છે, પણ સઘળી : લાભકારક નથી,
સઘળી વસ્તુની મને છૂટ છે, પણ હું કોઈને આધીન
થવાનો નથી.

૨૬.

જે અવસ્થામાં હું છું તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું.
આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેનાથી આપણે સંતોષી રહીએ.

૨૭.

શ્રદ્ધાળુઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું.
અને પોતાનાં જે વાનાં હતાં તે
મારાં પોતાનાં છે એમ કોઈ કહેતું નહિ ;
પણ સઘળી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી.

૨૮.

તેઓમાંના કોઈને કશાની અછત નહોતી ;
કારણ કે તેઓ પોતાની મિલકત વેચી નાખતા,
અને દરેકની અગત્ય પ્રમાણે સર્વેને વહેંચી આપતા.

૨૯.

અશક્તોની નિર્બળતાને સહન કરવી
અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું
એ આપણ શક્તિમાનોની ફરજ છે.

૩૦.

સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને
પ્રેમથી એકબીજાનું સહન કરીએ.

૩૧.

પ્રભુ બોલ્યા :

જેઓ પ્રભુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે
તેઓ સઘળા પર સતામણી થશે જ.

૩૨.

જ્યારે લોકો તમારી નિંદા કરશે, પૂઠે લાગશે,
મારે લીધે તમારી વિરુદ્ધ ભૂંડી વાત અસત્યતાથી કહેશે
ત્યારે તમને ધન્ય છે ;
તમે આનંદ કરો તથા હરખાઓ.

૩૩.

જો તમે ધર્મપરાયણતાને લીધે સહન કરો છો તો
તમને ધન્ય છે.

૩૪.

સારું કરવાને લીધે જ્યારે તમે દુ:ખ ભોગવો છો
ત્યારે જો સહન કરો છો તો તે મારી દષ્ટિમાં પ્રશંસા
પાત્ર છે.

૩૫.

જો કોઈ માણસ મારા તરફના ભક્તિભાવને લીધે
અન્યાય વેઠીને દુ:ખ સહે છે,
તો ને મારી દષ્ટિમાં પ્રશંસા પાત્ર છે.

૩૬.

સ્વામીના સારા સૈનિક તરીકે દુ:ખ સહન કર.
તારે જે સહન કરવું પડશે તેનાથી બીતો ના.

૩૭.

જેટલા પર હું પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું,
તથા શિક્ષા કરું છું.

શિક્ષણને ખાતર તમારે સહન કરવું પડે છે ;
વિપત્તિને લીધે કોઈ ડગી ન જાય.

૩૮.

એક શિષ્યે કહ્યું :

પ્રભુએ આપણે માટે દેહમાં સહ્યું છે માટે
આપણે પણ એવું જ મન રાખીને સજ્જ થઈએ.

૩૯.

ખ્રિસ્ત પ્રભુના દુ:ખોના આપણે ભાગીદાર છીએ
એને લીધે હરખાઈએ.

૪૦.

ખ્રિસ્ત પ્રભુ પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહિ
પણ તેમની ખાતર દુ:ખ પણ સહેવું.

૪૧.

પ્રભુ ઈસુના સંકટોની જે ન્યૂનતા હોય
તે હું મારા શરીર દ્વારા પૂરી કરું છું.

૪૨.

આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ.
કેમકે વિપત્તિ ધીરજને, ધીરજ અનુભવને અને
અનુભવ આશાને જન્મ આપે છે.

૪૩.

વિપત્તિથી ભારે કસોટી થયા છતાં
પુષ્કળ આનંદ થાય છે.
ભારે દરિદ્રતા છતાં ઉદારતારૂપ સમૃદ્ધિ પુષ્કળ વધે છે.

૪૪.

જોકે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે તોપણ
અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે.

૪૫.

અમારી જૂજ તથા ક્ષણિક વિપત્તિ અમારે સારુ
અત્યંત વિશેષ સાર્વકાલિક ભારે મહિમા ઉત્પન્ન કરે છે.

૪૬.

પ્રભુ બોલ્યા :

તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા,
તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું.

૪૭.

તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે
અને હું તને જીવનનો મુગટ આપીશ.

૪૮.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
સમર્પણયોગ નામનો ચતુર્દશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment