Saturday, March 25, 2006

Hriday Gita (7), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

કર્મયોગ
નામ
સપ્તમ અધ્યાય


પ્રભુ બોલ્યા :

જેઓ મારા પર શ્રદ્ધા રાખે છે
તેઓ સુકૃત્યો કરવાની કાળજી રાખે.

૧.

જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે તેમ
શ્રદ્ધા પણ સત્કર્મ વગર નિર્જીવ છે.

૨.

સુકૃત્યોથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવે છે.
જે વિશ્વાસ પ્રેમદ્વારા કાર્યસાધક છે તે જ ઉપયોગી છે.

૩.

ઉત્તરમાં ભક્તે કહ્યું :

અમે પ્રભુની કૃતિ છીએ.
સત્કર્મો કરવાને અમને ઉત્પન્ન કરવામાં આવ્યા છે.

૪.

પ્રભુની ઇચ્છા પૂરી કરવી અને
તેમનું કામ પૂર્ણ કરવું એ જ મારું અન્ન છે.

૫.

પ્રભુ ઈસુએ કહ્યું :

દરેકને ઈશ્વર તરફથી જે દાન મળ્યું હોય તે તેણે એકબીજાની
સેવા કરવામાં સારા કારભારી તરીકે વાપરવું જોઈએ.

૬.

એ પર ભક્તે કહ્યું :

દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે
અને ઈશ્વર પિતા પાસેથી ઊતરે છે.

૭.

જો કોઈ માણસને ઈશ્વર તરફથી આપવામાં આવ્યું ન
હોય તો તે કંઈ પામી શકતો નથી.

૮.

જે કોઈને ઘણું સોંપેલું છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે.
જે થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે.

૯.

સર્વ સારાં કામ કરવામાં તત્પર રહેવું.
ઉદ્યોગમાં આળસુ ન થાઓ.
આત્મામાં ઉત્સાહી થાઓ.
પ્રભુની સેવા કરો.

૧૦.

મારામાંની હરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને
કાપી નાખવામાં આવે છે.
અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે
માટે શુદ્ધ કરવામાં આવે છે.

૧૧.

જે કામ હું કરું છું તે જ મારા મર વિશ્વાસ કરનાર પણ કરશે,
આને તેનાં કરતાં પણ મોટાં કામ કરશે.

૧૨.

જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી
નથી શક્તી તેમ,
તમે પણ મારામાં રહ્યાં વિના ફળ આપી શકતા નથી.

૧૩.

જે મારામાં રહે છે અને હું તેનામાં વસું છું તે જ
ઘણાં ફળ આપે છે.
મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.

૧૪.

ભક્તે કહ્યું :

કોઈ પણ બાબત અમારા પોતાથી થાય એવા અમે યોગ્ય નથી ;
પણ અમારી યોગ્યતા પ્રભુ તરફથી છે.
તેમણે અમને આત્માના સેવકો થવાને યોગ્ય કર્યા છે.

૧૫.

અમે પ્રભુના આત્માથી સેવા કરનારા
અને પોતા પર ભરોસો નહિ રાખનારા એવા છીએ.

૧૬.

જે પોતાની પ્રસન્નતા પ્રમાણે અમારામાં ઇચ્છવાની તથા કરવાની
પ્રેરણા કરે છે તે તો પ્રભુ છે.

૧૭.

હું મારી મેળે કંઈ કરી શકતો નથી.
પ્રભુ મારામાં રહીને પોતાનાં કામ કરે છે.

૧૮.

તેમની પ્રેરણાથી જે બળથી મારામાં પ્રેરણા કરે છે
તે પ્રમાણે હું મહેનત કરું છું ;
હું તો નહિ પણ તેમની જે કૃપા મારા પર છે તે.

૧૯.

પ્રભુ જે મને સામર્થ્ય આપે છે
તેમની સહાયથી હું સર્વ કરી શકું છું.

૨૦.

પ્રભુએ કહ્યું :

મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.

૨૧.

ભક્તે કહ્યું :

પ્રભુનું પરાક્રમ મારા ઉપર આવી રહે
તેથી જ્યારે હું નિર્બળ છું ત્યારે બળવાન છું.

૨૨.

અમારામાં કાર્ય કરનાર પોતાના સામર્થ્ય પ્રમાણે
અમે માગીએ કે કલ્પીએ તે કરતાં
પ્રભુ અમારે સારુ વિશેષ કરી શકે છે.

૨૩.

તેમની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે
આપણ વિશ્વાસ કરનારાઓમાં
તેમની શક્તિનું મહત્વ શું છે તે આપણે જાણીએ.

૨૪.

પ્રભુ બોલ્યા :

જે આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી
તમારે એમ કહેવું, કે
અમે નકામા ચાકરો છીએ ;
જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે.

૨૫.

તે પર ભક્તે કહ્યું :

પ્રભુના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે
તેણે પોતાના કામથી વિશ્રામ લીધો છે.

૨૬.

આપણે વિશ્વાસ કરનારા
વિશ્રામમાં પેસીએ છીએ.

૨૭.

માણસોને સારુ નહિ પણ પ્રભુને સારુ એમ સમજીને
જે કંઈ કરીએ તે ખરા દિલથી કરીએ.

૨૮.

આપણે પ્રભુ ખ્રિસ્તની સેવા કરીએ છીએ.
વચનથી કે કાર્યથી જે કંઈ કરીએ તે સર્વ પ્રભુ ઈસુને
નામે કરીએ.

૨૯.

આપણે ખાઈએ કે પીએ કે જે કંઈ કરીએ
તે સર્વ પ્રભુ ઈસુના મહિમાને અર્થે કરીએ.

૩૦.

પ્રભુએ કહ્યું :

તમે સત્કર્મ કર્યા કરો અને
સર્વ સારાં કામની વૃદ્ધિ કરતા રહો.

૩૧.

નિખાલસ હૃદયથી, માણસોને પ્રસન્ન કરનારાઓની પેઠે નહિ
પણ મારા દાસોની પેઠે જીવથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરો.

૩૨.

તમારા પ્રભુનાં કામમાં સદા મમ્યા રહો કેમકે
તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી.

૩૩.

જે કોઈ મારે નામે ઠંડા પાણીનું પ્યાલું પાય છે
તે તેનું ફળ ગુમાવશે નહિ.

૩૪.

જે મારે નામે નાના બાળકનો સત્કાર કરે છે
તે મારો સત્કાર કરે છે.

૩૫.

હું ભૂખ્યો હતો ત્યારે તમે મને જમાડ્યો ,
હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું.

૩૬.

હું નગ્ન હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં,
હું ત્રાહિત હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં,

૩૭.

હું માંદો હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી ;
હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી.

૩૮.

આ મારા બંધુઓમાંના બહુ નાનામાંથી એકને તમે જે કર્યું
એટલે તે તમે મને કર્યું.

૩૯.

ત્યારે એક ભક્તે કહ્યું :

ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે,
અને અમે પોતે પ્રભુને લીધે સૌના દાસ છીએ.

૪૦.

જેઓ જીવે છે તેઓ પોતાના અર્થે નહિ પણ
પ્રભુને અર્થ જીવે.

૪૧.

ચાહે તો જીવનથી કે ચાહે તો મરણથી મારા શરીરદ્વારા
પ્રમુના મહિમાની વૃદ્ધિ થાઓ :

૪૨.

કેમકે મારે જીવવું તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત,
અને મરવું તે લાભ છે.

૪૩.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં
કર્મયોગ નામનો સપ્તમ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment